તળાવમાંથી વહી રહેલા પાણી અધિકારીઓ દ્વારા રોકવામાં નહીં આવે તો કોર્ટમાં જઈશું: માજી સરપંચ દિપક પટેલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.08: વંકાલ ગામમાં વાણિયાતળાવ ફળીયામાં આવેલ સરકારી તળાવમાં પાણીના સંગ્રહથી આસપાસના વિસ્તારમાં બોર-કૂવામાં પાણીના સ્તર જળવાઈ રહેવા સાથે લોકો અને પશુઓને પીવાના પાણી માટે મોટી રાહત થતી હોય છે. અને હાલે આ તળાવમાં વરસાદી પાણીનો સંગ્રહ પણ મોટાપાયે થતો હોય. પરંતુ હાલે આ તળાવમાંથી નીચેના ભાગેથી આરસીસી પાઈપ મારફતે પાણી વહી રહ્યું છે. અને પાણીનો નિકાલ થઈ જતા વરસાદી પાણીનો પૂરતા પ્રમાણમાં સંગ્રહ થવાની શકયતા નહિવત જણાતા આ નકામું વહી જતું પાણીને તાત્કાલીક ધોરણે અટકાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
અત્રે નોંધનીય છે કે સરકાર દ્વારા વરસાદી પાણીનો સંગ્રહ થાય,જળ સંચય થાય તે માટે સૂઝલામ સુફલામ જેવીયોજનાઓ અમલમાં લાવી લાખો રૂપિયાની ગ્રાંટ ફાળવી ગામે ગામ ચેકડેમ-તળાવો ઊંડા કરવામાં આવતા હોય છે. અને પાણીના સંગ્રહ માટે સતત પ્રોત્સાહન પૂરું પાડવામાં આવતું હોય છે. ત્યારે વંકાલ ગામના તળાવમાંથી નીચેના ભાગમાંથી નકામું પાણી હાલે વહેતુ જોવા મળી રહ્યું છે.
જોકે સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા જાણ કરાતા મામલતદાર દ્વારા સર્કલ ઓફિસર મારફતે સ્થળ પર તપાસ કરવામાં આવી હતી. ત્યારે તંત્ર દ્વારા તળાવમાંનું પાણી નકામું વહી જતું અટકાવવા નક્કર પગલાં લેવામાં આવે તે જરૂરી છે.
વંકાલ ગામના પૂર્વ સરપંચ દિપકભાઈના જણાવ્યાનુસાર વાણિયાતળાવમાં નીચેના ભાગમાંથી વરસાદી પાણી નકામું વહી રહ્યું છે. તે જોતા વરસાદ બાદ તળાવ થોડા દિવસમાં જ સુકાઈ જશે. આજદિન સુધી આવી રીતે પાણી નીકળતું ન હતું અને ઓવરફલો માટે વ્યવસ્થા કરવામાં આવેલ જ છે. ત્યારે તાત્કાલિક ધોરણે આ પાણી નીકળતું બંધ થવું જોઈએ એ માટે અમે ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત પણ કરવામાં છે.
વંકાલ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી નિલેશભાઈના જણાવ્યાનુસાર તળાવમાં જૂનો કાંસ હતો જ તે નાળુ સાફ કરેલ છે. અને સર્કલ ઓફિસર પણ સ્થળ પર જોઈ ગયા છે. જૂનો કાંસ હતો જ તેમાં સરપંચે પાઈપ નાંખેલ છે. અમે કોઈ ઠરાવ કર્યોનથી.