(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10 : સેલવાસ નગરપાલિકા દ્વારા ઝંડાચોક શાળા પરિસર ખાતે ‘મેરી માટી, મેરા દેશ’ ઝુંબેશ અંતર્ગત કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભાની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગત 30જુલાઈ, 2023ના રોજ તેમની ‘મનકી બાત’ની 103મી આવૃત્તિ દરમ્યાન ‘મેરી માટી, મેરા દેશ’ ઝુંબેશ અંગેની જાહેરાત કરી હતી. જે મુજબ અભિયાનમાં દેશના વીરોને યાદ કરવા, દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાન 9 ઓગસ્ટથી 30ઓગસ્ટ સુધી અમર શહીદોની યાદમાં આયોજીત કરવામાં આવી રહ્યો છે. આ વીરોની યાદમાં દેશની પંચાયતોમાં શિલાલેખ લગાવવામાં આવી રહ્યા છે. આ અભિયાન અંતર્ગત અમૃત કળશ યાત્રાનું પણ આયોજન કરવામાં આવશે.
આજે દાનહ જિલ્લા કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભાની ઉપસ્થિતિમાં દાનહ પ્રશાસન દ્વારા ઝંડાચોક સેલવાસ ખાતેની શાળામાં ‘મેરી માટી, મેરા દેશ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માતૃભૂમીની સ્વતંત્રતા અને ગૌરવની રક્ષા માટેપોતાના જીવનનું બલિદાન આપનાર વીરોને નમન કરતી શિલાફલ્કમ બનાવવામાં આવી છે. આ પ્રસંગે અધિકારીઓ, પદાધિકારીઓની ઉપસ્થિતિમાં મહાનુભાવોએ વીરોને વંદન કર્યાહતા. પ્રારંભમાં શિલાફલ્કમના સ્થળની નજીક વૃક્ષારોપણ કરી માટીને નમન અને વીરોને વંદન કરાયું હતું. ત્યારબાદ પંચપ્રણ પ્રતિજ્ઞા લઈ રાષ્ટ્ર પ્રત્યેની ભાવના ઉજાગર કરી હતી. ત્યારબાદ ધ્વજવંદન કરી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. આ અવસરે કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભા સહિત સેલવાસ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રજની શેટ્ટી, ઉપ પ્રમુખ શ્રી કિશનસિંહ પરમાર, ચીફ ઓફિસર શ્રી સંગ્રામ શિંદે, સ્વાતંત્ર્ય સેનાની શ્રી ભીખુભાઈ પંડયાના પત્ની શ્રીમતી નિર્મળાબેન પંડયા, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી બી.બી.પાટીલ, શાળાના આચાર્ય, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.