(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.11: આજરોજ સામાજીક વનીકરણ વિભાગ-વલસાડ, રેન્જ-ઉમરગામ દ્વારા આયોજીત તાલુકા કક્ષાનો 74મો વન મહોત્સવ ઉમરગામ તાલુકા ધારાસભ્ય શ્રી રમણલાલ પાટકરના અધ્યક્ષ સ્થાને વિવેકાનંદ હાઈસ્કૂલ-માણેકપુર, તાલુકા-ઉમરગામ ખાતે યોજાયો હતો.
સામાજીક વનીકરણ વિભાગના મદદનીશ વન સંરક્ષક અધિકારી જીનલબેન ભટ્ટે સ્વાગત પ્રવચનમાં જણાવ્યુ હતુ કે, ગ્રામ્ય વિસ્તારની જે પડતર જમીન હોય છે, એવી 1111 હેકટરમાં 8 લાખ રોપાનુ વાવેતર કરવામાં આવ્યુ છે, અને એ માટે 2 કરોડ રૂપિયાથી વધુ સહાય ચુકવવામાં આવી છે. 2003 ની સાલમાં વૃક્ષોની ગણતરી 10 કરોડ હતી જે 2023 મા 39 કરોડ વૃક્ષો વન વિભાગની બહારની વિસ્તારમાં છે. તેમજ ગુજરાત રાજ્યની વિશાળ દરિયાઈ પટ્ટીમાં મિસ્ટી પ્રોગ્રામ અંતર્ગત દરિયાઈ જીવસૃષ્ટિ માટે ખુબજ ઉપયોગી અને દરિયાઈ ભરતીના મોજાથી દરિયાઈ ધોવાણ અટકાવવા અતિ ઉપયોગી એવા ચેરનાં (મેન્ગુવ) રોપાનુ વાવેતર સ્થાનિક સમુદાયો દ્વારા કરાવવામાં આવી રહ્યુ છે. જેથી એમને આજીવીકા મળી રહે.
ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરે પોતાનાઉદબોધનમાં જણાવ્યુ હતુ કે, માણસને જીવવા માટે 28 કિલો ઓક્સિજન જોઈએ અને એ માટે વ્યક્તદીઠ 428 વૃક્ષોની જરુર પડે. કોરોના કાળ દરમિયાન ઓક્સિજનની એકાએક તકલીફ ઉભી હતી. જેના પરથી આપણે ગંભીરતા સમજવી જોઈએ કે વૃક્ષો આપણા જીવન માટે કેટલા મહત્વના છે, વૃક્ષોની આપણે આયુર્વેદ દવાઓ, ફળ, લાકડુ વગેરે વિવિધ ઉપયોગ કરીએ છીએ. ઉપસ્થિત સૌને અપીલ કરી હતી કે દરેક વ્યક્તિએ વધુને વધુ રોપાનુ વાવેતર કરવુ જોઈએ.
વિવેકાનંદ હાઈસ્કૂલ-માણેકપુરના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું. તેમજ સામાજીક વનીકરણ વિભાગ દ્વારા વિવિધ ગામો-વિસ્તારોમાં રોપા વિતરણ માટે તૈયાર કરેલ ‘‘વૃક્ષ રથ”ને ધારાસભ્યશ્રીએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યુ હતુ. વનીકરણ ક્ષેત્રની ઉત્કળષ્ટ કામગીરી કરનારને પ્રમાણપત્રથી સન્માનિત કર્યા હતા.
આ પ્રસંગે ઉમરગામ તાલુકા પંચાયત પ્રમુખશ્રી રમેશભાઈ ધાંગડા, ઉમરગામ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખશ્રી દિલીપભાઈ ભંડારી, મહામંત્રીશ્રી પ્રકાશભાઈ પટેલ, સરીગામ ઈન્ડસ્ટ્રીઅલ એસોસિએશન પ્રમુખશ્રી કમલેશભાઈ બટ્ટ, તાલુકા પંચાયત સભ્યશ્રી મહેશભાઈ આહીર, માજી મહામંત્રીશ્રી રામદાસભાઈ વરઠા, વિશ્વ હિંદુ પરિષદ વલસાડ જિલ્લા પ્રમુખશ્રી પિયુષભાઈ શાહ, અગ્રણીશ્રી અંકિતભાઈ શાહ, સામાજીક વનીકરણ વિભાગનાઅધિકારીશ્રીઓ, સરપંચશ્રીઓ, શાળાના ટ્રસ્ટીઓ, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તેમજ ગામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આભારવિધિ વિવેકાનંદ હાઈસ્કૂલના નવનિયુક્ત આચાર્ય શ્રી પ્રકાશભાઈ આરેકરે કરી હતી.