સામાન્ય સભામાં વિકાસના કામોની ફેરદરખાસ્ત ઉપરાંત શાળાના જર્જરિત ઓરડાઓ, આંગણવાડીઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.18: તાલુકા પંચાયતમાં પ્રમુખ કલ્પનાબેન ગાંવિત, ટીડીઓ ચેતનભાઈ દેસાઈ, કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ, ઉપપ્રમુખ જીજ્ઞેશભાઈ, ન્યાય સમિતિના અધ્યક્ષ વૈભવભાઈ બરોટ, નાયબ ટીડીઓ દિગ્વિજયસિંહ દોડીયા, વિસ્તરણ અધિકારી ભારતીબેન સહિતનાની ઉપસ્થિતિમાં યોજાયેલ સામાન્ય સભામાં ગત સામાન્ય સભાની કાર્યવાહીને બહાલી આપી નાણાંપંચની તેમજ સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટના કેટલાક કામોની ફેર દરખાસ્ત કરવામાં આવી હતી.
સામાન્ય સભામાં કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ દ્વારા કેટલ શેડની મંજૂરી સહિત વિકાસના કામો અંગે ચર્ચા કરી હતી. વિરોધપક્ષના નેતા ભીખુભાઈ ગરાસિયાના જર્જરિત ઓરડાઓના પ્રશ્ન બાબતે પ્રમુખ કલ્પનાબેને જણાવ્યું હતું કે, નવા ઓરડાઓની મંજૂરી આવે તે મુજબ જર્જરિત ઓરડાઓ તોડવાની મંજૂરી આપવામાં આવે છે. અને હાલે તાલુકાની 42-જેટલી પ્રાથમિક શાળાઓમાં ઓરડાઓનું બાંધકામ પ્રગતિમાં છે. જ્યારે આંગણાવાડીમાં ઘટક-1 અને 3 માં47-જેટલી નવી આંગણવાડીઓને મંજૂરી મળેલ છે. જે પૈકી છ જેટલી પ્રગતિમાં છે. જ્યારે ઘટક-2 માં નવી-17 પૈકી બે ના બાંધકામ પૂર્ણ થઈ ગયેલ છે. અને બે પ્રગતિમાં છે. આ ઉપરાંત તાલુકામાં ચોમાસાની સીઝનના કારણે વિકાસના કામો અટકેલા છે. પરંતુ મોટેભાગના કામો પૂર્ણતાના આરે છે.
તાલુકા પંચાયત સભ્ય જશુભાઈ ગાંગોડે ઉપરાંત વિરોધ પક્ષના ભીખુભાઈ સહિતના સભ્યોએ પ્રમુખ પદે કલ્પનાબેન કાર્યકાળને કામગીરીને બિરદાવી હતી. સભાનું સંચાલન મદદનીશ ટીડીઓ જીતુભાઈ પટેલે કર્યું હતું.