Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

શ્રી નગરવાલાએ પોતે પણ નગર હવેલીનાં 72 ગામો પર કબજો મેળવવાની એક આકર્ષક યોજના વિચારી હતી

ભારત સરકારની નીતિને કારણે કેન્‍દ્રિય અનામત દળ ત્‍યાં કોઈ કાર્યવાહી કરે તેમ ન હતું પરંતુ મુંબઈ રાજ્‍યના મુખ્‍યમંત્રી શ્રી મોરારજીભાઈ ખાસ કરીને સામ્‍યવાદીઓના હુમલા વિશે ચિંતિત હતા, તેથી જ તેમણે આ યોજના વિચારી હતી

(…ગતાંકથી ચાલુ)
આ દરમિયાન શ્રી નગરવાલાએ પોતે પણ નગર હવેલીનાં 72 ગામો પર કબજો મેળવવાની એક આકર્ષક યોજના વિચારી હતી. એમાં જો તેઓ સફળ રહ્યા હોત તો તેમની દૃષ્‍ટિએ તે મોટી સફળતા હતી. ભારત સરકારની નીતિને કારણે કેન્‍દ્રિય અનામત દળ ત્‍યાં કોઈ કાર્યવાહી કરે તેમ ન હતું. પરંતુ મુંબઈ રાજ્‍યના મુખ્‍યમંત્રી શ્રી મોરારજીભાઈ ખાસ કરીને સામ્‍યવાદીઓના હુમલા વિશે ચિંતિત હતા. તેથી જ તેમણે આ યોજના વિચારી હતી. કેટલાક સ્‍થાનિક વેપારીઓના માધ્‍યમથી તેમણે સિલવાસાના મુખ્‍ય પોર્ટુગીઝઅધિકારી ફિદાલ્‍ગોને ‘જીવ બચાવવો હોય તો શરણે થઈ જાઓ’ એવો સંદેશ મોકલ્‍યો. શરણે આવનારને સુરક્ષિત રીતે ગોવા મોકલી લેવામાં આવશે એવું આશ્વાસન પણ તેમણે આપ્‍યું.
એ સમયે ફિદાલ્‍ગો ખરેખર તો ઘણી વિકટ પરિસ્‍થિતિનો સામનો કરી રહ્યો હતો. દાદરા અને નગર હવેલી રસ્‍તે રાજ્‍ય અનામત દળનો પહેરો ગોઠવાયો ત્‍યારે જ સૌ પ્રથમ તેને આવનારા સંકટનો અણસાર આવી ચૂક્‍યો હતો. દાદરા યુદ્ધ વખતે વધુ મદદ મેળવવાની કરેલી માગણી શ્રી નગરવાલાએ ઠુકરાવી ત્‍યારે તેના પગ નીચેની ધરતી સરકતી લાગી. દાદરામાં તેનો એક ફોજદાર મરાયો અને તેના ટેલિફોનનું જોડાણ કાપી નાખવામાં આવ્‍યું એ સમાચારના આંચકાની કળ વળે તે પહેલાં તો નરોલી થાણું પણ હાથમાંથી ગયું હોવાના સમાચાર તેને મળ્‍યા. આમ એક પછી એક પરાજયના સમાચાર મળતાં તેની સાથેના સૈનિકોનું મનોબળ પણ તૂટવા લાગ્‍યું. તેઓ ધીરજ અને હિંમત પણ ગુમાવવા લાગ્‍યા. આ પરિસ્‍થિતિમાં તેને એકી સાથે ચાર મોરચે લડવાનું હતું. ગોદાવરી પરુળેકરના નેતૃત્‍વમાં થતા વારલી લોકોના હુમલા, વામન દેસાઈનો દાદરા લીધા પછીનો પ્રયત્‍ન, નરોલી લેનારા રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના કાર્યકરો અને શરણે આવવાનું કહેતા નગરવાલા. આમાંથી નગરવાલાને શરણે થઈ જવાનો માર્ગ સીધો, સરળ સહેલો હતો. પણતેને એ યોગ્‍ય લાગતો ન હતો. નગરવાલા તેને સુરક્ષિત રીતે ગોવા મોકલી દે તો પણ પછી તે કોઈને મોં બતાવવા લાયક ન રહે એ વિચાર તેને સતાવતો હતો. તેથી તેણે ત્રણસો રાયફલ, રિવોલ્‍વર, ગ્રેનેડ, મશીનગન, દસેક હજાર ગોળીઓ એવી જે કંઈ શષાસામગ્રી પોતાની પાસે હતી તેની મદદથી લડી લેવાનો નિર્ણય લઈને સિલવાસાની મુખ્‍ય ચોકી ફરતે રેતીના થેલા ગોઠવીને સંરક્ષણ દિવાલ ઉભી કરી.
મદદ માટે પુણે તરફ પ્રયાણ
રાજા વાકણકર અને વાસુદેવ ભીડે વાપીથી દિ. 29 જુલાઈના રોજ પુણે જવા માટે નીકળ્‍યા. પુણે પહોંચીને સૌ પ્રથમ તેમણે તત્‍કાલીન પ્રાંત પ્રચારક શ્રી બાબારાવ ભીડેને મળીને બધી પરિસ્‍થિતિ જણાવી. તેમ જ લગભગ સો સવાસો યુવાનોને સાથે લઈ જવાની વાત કરી. શ્રી વાકણકર લગભગ 12 વર્ષ પ્રચારક રહ્યા હોવાથી તેમનો શ્રી બાબારાવ ભીડે સાથે પ્રાંત પ્રચારકની રીતે દીર્ઘ પરિચય હતો. બધી વસ્‍તુસ્‍થિતિ પૂરી રીતે સમજી લીધા પછી સાંજે મળીશું એમ કરીને તેમણે ચર્ચા પૂરી કરી. વાકણકરના ગયા પછી શ્રી બાબારાવે અન્‍ય જ્‍યેષ્‍ઠ પ્રચારક શ્રી અનંતરાવ દેવકુળે સાથે ચર્ચા કરી તથા બીજા પણ ઘણા લોકોને મળવા બોલાવ્‍યા.
શ્રી ભીડેજી પાસેથી નીકળ્‍યા પછી વાકણકર તત્‍કાલીન પ્રાંત સંઘચાલક શ્રી વિનાયકરાવ આપ્‍ટેને મળ્‍યા અને તેમને વિગતવાર માહિતી આપી. તેવખતે સંઘનો ત્‍યાં ઘણો પ્રભાવ હતો પરંતુ સંગ્રામમાં પૂર્ણ રીતે સહભાગી થવાની ક્ષમતા હોય તેવાં મુખ્‍યત્‍વે ત્રણ જૂથો ઉપર વાકણકરનો મોટો મદાર હતો. 1. હનુમાન વ્‍યાયામ મંડળ, 2. કસબાપેટ, 3. હિંદુ તરૂણ મંડળ. શ્રી વિનાયકરાવને મળીને નીકળ્‍યા પછી તેઓ શનિવાર પેઠમાં આવેલા હનુમાન વ્‍યાયામ મંડળમાં પહોંચ્‍યા. એ મંડળના પ્રમુખ શ્રી ભૈયા જોષીની મદદ લઈને એ મંડળના 70 જેટલા સભ્‍યો અને અન્‍ય પરિચિતો તથા મહાવિદ્યાલયોનાં વિદ્યાર્થીગૃહોમાં રહેતા યુવાનોને 31 જુલાઈએ બપોરે સંઘના રામ કાર્યાલયમાં એકત્રિત થઈને ત્‍યાંથી જે સૂચના મળે તે પ્રમાણે નગર હવેલી તરફ પ્રયાણ કરવાનો ખ્‍યાલ આપતો સંદેશ મોકલ્‍યો.
પુણેનું આ હનુમાન વ્‍યાયામ મંડળ સાચા અર્થમાં સાહસિક યુવાનોનું જૂથ હતું. તેમાં પ્રવેશ મેળવવા માટે ભરચોમાસે બંને કાંઠે વહેતી મુઠા નદીના ઊંડા પાણીમાં પુલ ઉપરથી ભૂસકો મારીને બે ત્રણ કિ.મી. જેટલું અંતર તરીકે કાપવાની આકરી કસોટોમાંથી પસાર થવું પડતું. છતાં અનેક યુવાનો આ સાહસ કરવા માટે ઉત્‍સુક રહેતા. કુસ્‍તીના કોઈપણ પ્રકારનો રિયાઝ ત્‍યાં સતત બે ત્રણ કલાક ચાલતો. હિંદુ બહેન દીકરી કે દેવી દેવતાની મજાક મશ્‍કરી કરનારા કે ક્‍યાંય નવા દરગાહ પીર ઉભા કરનારા ધ્‍યાનમાં આવે તો તેમને તરત જ સ્‍વાદ ચખાડવા માટેઆ યુવાનો સદા તત્‍પર રહેતા.
શ્રી વાકણકરના સંદેશાના અનુસંધાનમાં આવા ત્રીસેક સાહસિક યુવાનો રામ કાર્યાલયમાં ઉપસ્‍થિત થયા. તેમાં સર્વશ્રી શિવશાહીર બાબાસાહેબ પુરંદરે, ગ.ની. જોગળેકર, અરવિંદ જોષી, શ્રીકૃષ્‍ણ જોષી, શરદ જોષી (એમ.સી.) ચંદ્રકાન્‍ત કરંબેળકર, નારાયણ કરંદીકર, ભૈયા વૈદ્ય, સ્‍વ. બાબસાહેબ કુલકર્ણી, ભાસ્‍કર શિવરામ કુલકર્ણી, રઘુનાથ કુંટે, શંકર વાસુદેવ પરાજંપે, વસંત પ્રસાદ, નરહરિ સાળુંકે, લક્ષ્મણ સાઠે, દત્તાત્રય વૈદ્ય, વગેરેનો સમાવેશ થતો હતો.
નાના કાજરેકર અને રમણ ગુજરના પરિચિત તથા સંઘ સાથે પણ સંબંધ હોય તેવા સાતારાના યુવાનોને પહોંચેલા સંદેશાના જવાબમાં શ્રી જનાર્દન પ્રભાકર દાબકે, તેમના ભાઈ વિશ્વનાથ દાબકે, બબન ગુજર, દશરથ ગુજર, રામચંદ્ર ઈનામદાર, યશવંત કાજરેકર અને વસંત કાજરેકર પણ પુણે પહોંચ્‍યા.

(ક્રમશઃ)

Related posts

વલસાડ જિલ્લામાં પડેલા મુશળધાર વરસાદે ઠેર ઠેર સર્જી તારાજી

vartmanpravah

વલસાડમાં નવિન બોરિંગનું ચિકણું પાણી ફેલાતા 25 ઉપરાંત વાહન ચાલકો સ્‍લીપ ખાઈ ગયા

vartmanpravah

નવસારી જિલ્લામાં કુલ 10,78,260 મતદારો

vartmanpravah

શ્રીમદ્દ રાજચંદ્ર મિશન, ધરમપુર દ્વારા આયોજિત ‘અંજનશલાકા પ્રતિષ્ઠા અષ્ટાન્હિકા મહોત્સવ’માં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ: શ્રીમદ્દ રાજચંદ્ર મિશને અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં ધર્મ સાથે સામાજિક ઉત્તરદાયિત્વથી સેવાની જ્યોત પ્રજ્વલિત કરી છે

vartmanpravah

વલ્લભ આશ્રમ સ્‍કૂલ સામે હાઈવે પર રાત્રિ દરમિયાન બ્રિજ ડીવાઈડર નજરે ન ચઢતા વારંવાર થઈ રહ્યા છે અકસ્‍માત

vartmanpravah

નરોલીના યુવાને દમણગંગા નદીમાં ઝંપલાવ્‍યું: ફાયર વિભાગ દ્વારા યુવાનની શોધખોળ હાથ ધરાઈ

vartmanpravah

Leave a Comment