માતા-પિતા વચ્ચે નજીવી બાબતે ચાલી રહેલા ઝઘડામાં ઉશ્કેરેટમાં આવેલા પુત્રએ પિતાના માથામાં લાકડાના ફટકા મારી અને પેટમાં સળીયો ભોકી મોતને ઘાટ ઉતારતા મચેલી ચકચાર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.12: ઉમરગામ તાલુકાના ઝરોલી ગામમાં પુત્રએ પિતાની હત્યા કરી હોવાની ચકચારિત ઘટના પ્રકાશમાંઆવી છે. ઘટના નજીવી બાબતે બનવા પામી હતી માતા અને પિતા વચ્ચે ચાલી રહેલા ઝઘડામાં ઉશ્કેરાટમાં આવેલા પુત્રએ પિતાના માથાના ભાગે લાકડાના ફટકા માર્યા બાદ પેટમાં સળિયો ભોકી દઈ નિર્દય રીતે હત્યા કરી હોવાનું બહાર આવી રહ્યું છે.
પોલીસ સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ ઉમરગામ તાલુકાના ઝરોલી ગામના પથ્થર ફળિયા ખાતે પુત્ર વિરલે પિતા જગદીશની નિર્મમ હત્યા કરી હોવાની ઘટના બનવા પામી છે. પાણીનો નળ ચાલુ રહી જતા માતા અને પિતા વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો એ અરસામાં હત્યારો પુત્ર વિરલ ઉસ્કેરાટમાં આવી જઈ પિતા જગદીશ ઉપર નિર્દય રીતે લાકડાના માથાના ભાગે ફટકા મારી તેમજ પેટના ભાગે સળીયો ભોકી દઈ ગંભીર ઈજા પહોંચાડી ભાગી છૂટયો હતો.
ઘટના બાદ ઈજાગ્રસ્ત પિતા જગદીશભાઈ લોહી લુહાણ હાલતમાં કમરે રૂમાલ બાંધી બાજુમાં રહેતા તેના ભાઈ રમેશભાઈના ઘરે ગયો હતો. અને હુમલાની બનેલ ઘટનાની આપવિતી જણાવતા પુત્ર વિરલે માર માર્યો હોવાની વાત કરી હતી અને જીવ બચાવીને આવ્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ ફરિયાદી રમેશભાઈ જીવણભાઈ હળપતિ ભાઈ જગદીશને લઈ ને ઘર પાસે ગયેલ ત્યારે હત્યાનો ભોગ બનનારની પત્ની પુષ્પાબેન અને તેનો દીકરો વિરલ ઉશ્કેરાઈ ગયેલ અને ત્યાંથી મોટરસાયકલ લઈનેજતા રહ્યા હતા ત્યારબાદ ભાઈ જગદીશને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મરણજનાર જગદીશભાઈએ સારવાર કરાવવાની ના પાડી હતી. અને બીજા દિવસે સોમવારે જાણવા મળેલ કે જગદીશભાઈ હળપતિવાસ ખાતે શકુંબેન હરીશભાઈ હળપતિના ઘરના ઓટલા ઉપર મરણ ગયેલ હાલતમાં પડેલ છે.
આ બનાવની ફરિયાદ ભીલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી રમેશભાઈ જીવણભાઈ હળપતિએ આપતા પુત્ર સામે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.