દાદાસાહેબ જાંબુળકરને એની ખાતરી ન હતી કે તેઓ જીવતા પાછા આવશે કે નહીં? પણ ભારતમાતાના એક હિસ્સાને મુક્ત કરવાની હદ અને તેનો આનંદ તેમના મનમાં છલોછલ હતાં
(…ગતાંકથી ચાલુ)
પુણે સ્ટેશન પર બધાને વિદાય આપવા માટે વિનાયકરાવ આપટે પોતે તો ઉપસ્થિત હતા જ, ઉપરાંત શ્રી રામભાઉ મ્હાળગી અને અન્ય જ્યેષ્ઠ સંઘ કાર્યકર્તાઓ પણ હાજર હતા. પુણેથી નીકળીને ગાડી તળેગાંવ પહોંચી તો ત્યાં પણ 14 કાર્યકર્તાઓ ગાડીની રાહ જોતા ઉભા હતા. શ્રી વિનાયકરાવ આપટેની એક જ સૂચના મળતાં તે બધા તત્કાળ તૈયાર થઈ ગયા હતા. તેમાં સર્વશ્રી નારાયણ બોરાટે, પાંડુરંગ ચૌહાણ, બબન ચિખલે, નિવૃત્તિ દાભાડે, કમલાકર ડબે, રામચંદ્ર દામલે, માનસિંગ દેશમુખ, બાબાસાહે જાંબુળકર, ગણપત નિગડેકર, મનોહર પાધ્યે, એકનાથ પાટિલ, બાબુરાવ પાટિલ, રામચંદ્ર રાનડે, ભિકાજી શિંદે વગેરેનો સમાવેશ થતો હતો. આ બધાને સ્વાતંત્ર્ય સંગ્રામમાં સામેલ થવામાં કેટલો આનંદ હતો તે દર્શાવતાં શ્રી દાદાસાહેબ જાંબુળકર 2 ઓગસ્ટ 2001ના દાદરા નગર હવેલી મુક્તિ સ્મૃતિ વિશેષાંકના વિમોચન પ્રસંગે બોલતાં પોતાની વાત કરે છે, ‘જ્યારે જિલ્લા સંઘચાલક શ્રી વિનાયકરાવ આપટેનીતાકીદની ચિઠ્ઠી તળેગાંવ સંઘચાલકને મળી ત્યારે નાનાસાહેબ ડંબે, વિષ્ણુભાઈ શાહ અને નથુભાઉ ભાંગડે પાટિલે અમને 17 જણાને જવા માટે પ્રેરિત કર્યા. 1 ઓગસ્ટ 1954ના દિવસે બપોરે 3.45 વાગે મુંબઈ તરફ જનારી ડેક્કન એક્સપ્રેસમાં પુણેથી આવતા સ્વયંસેવકો સાથે તળેગાંવથી સામેલ થવાનું નક્કી થયું. મારી પાનની દુકાન બીજાને સોંપીને ઘેર કહેવડાવ્યા વિના દોડતો જ હું તળેગાંવ સ્ટેશને સંગ્રામ ટુકડીમાં સામેલ થવા માટે ગયો. પરંતુ મારા ભાઈ વસંતરાવને જાણ થઈ ગઈ. હું તેમની નજર બચાવતો બીજા પ્લેટફોર્મ પર એક થાંભલાની આડશમાં ઉભો રહ્યો અને ગાડી આવતાં એ પ્લેટફોર્મ પરથી જ નક્કી થયેલા ડબામાં ચઢી ગયો. ગાડી ચાલુ થયા પછી જ ભાઈને હાથનો ઈશારો કર્યો અને તેમની વિદાય લીધી. 21 વર્ષની વયે હું નગર હવેલી સંગ્રામમાં કૂદી પડયો હતો. જીવતો પાછો આવીશ કે કેમ તેની ખાતરી ન હતી. પણ ભારતમાતાના એક હિસ્સાને મુક્ત કરવાની હદ અને તેનો આનંદ મનમાં છલોછલ હતાં.’
આ બધા મુંબઈ થઈને વાપી પહોંચ્યા ત્યારે સ્ટેશને ઉતરતાં જ બધાને આヘર્ય એ વાતનું થયું કે સંગ્રામ માટે નીકળેલા આ યુવાનો સાથે માનનીય શ્રી વિનાયકરાવ આપટે પણ ઉપસ્થિત હતા. શ્રી બિંદુમાધવ જોષી સાથે મારી પ્રત્યક્ષ મુલાકાત થઈ ત્યારે મા. આપટેજીની આ કૃતિને યાદકરતાં તેમની આંખમાં પાણી હતું તેમણે કહ્યું, અમે પુણેથી નીકળ્યા ત્યારે સ્ટેશન પર અમને વિદાય આપવા મા. આપટેજી ઉપસ્થિત હતા. પુણે સ્ટેશનથી ગાડી ઉપડી અને અમે તેમની વિદાય લેવા હાથ ઊંચો કર્યો એટલામાં તો તેઓ પોતે જ ગાડીમાં ચઢી ગયા. અમે પૂછ્યું, ‘બાબા, તમે કેમ ગાડીમાં ચઢયા?’ તો કહે ‘બસ તળેગાંવ સુધી આવું છું. ત્યાંથી થોડા સ્વયંસેવકો આવવાના છે તેમને પણ તમારી સાથે વિદાય આપી દઉં’ તે પછી તો તળેગાંવથી મુંબઈ અને મુંબઈથી વાપી સુધી આ જ વાત અને આ જ ક્રમનું પુનરાવર્તન થતું રહ્યું. છેવટે વાપી પહોંચ્યા પછી અમે તેમને હાથ જોડીને પાછા ફરવાની વિનંતી કરી પણ તેઓ અમારી કોઈ વાત માનવા તૈયાર ન હતા. તેઓ અમારી સાથે લવાછા સુધી આવ્યા. લવાછા પછી અમે તો પિપરીયા થઈને સિલવાસા સુધી પહોંચી ગયા હતા પરંતુ શ્રી આપટેજી તે બધા સમય દરમિયાન ત્યાં જ રહ્યા હતા તે વાત અમે પહેલાં તો જાણતા ન હતા પરંતુ સિલવાસા હાથમાં આવતાં જ શ્રી આપટેજી તરત ત્યાં પહોંચી ગયા તેથી આヘર્ય વ્યક્ત કરતાં અમે પૂછ્યું કે, ‘બાબા, અત્યારે તમે અહીં ક્યાંથી? કેવી રીતે?’ તો કહે, ‘હું તો અહીં જ હતો. અરે! તમે બધા નાના છોકરાઓ મારા શબ્દને અનુસરીને તમારો જીવ જોખમમાં નાખીને કર્તવ્યપથ પર નીકળ્યા હતા ત્યારે હુંતમારાથી દૂર કેવી રીતે રહી શકું? મારો જીવ અહીં હોય ત્યારે મારૂં શરીર બીજે કેમ જઈ શકે?’
આ સમયે રાત્રિનો એક વાગ્યો હતો. શ્રી વિશ્વનાથ નરવણે સ્ટેશન પર ઉપસ્થિત હતા. શ્રી નરવણેનો આ સમગ્ર અભિયાનમાં વિશેષ સહભાગ રહ્યો છે. તે મૂળ મહારાષ્ટ્રના હોવા છતાં 6 વર્ષ માટે ગુજરાતમાં પ્રચારક તરીકે રહ્યા હતા. તેમને ગુજરાતી ભાષા સારી રીતે આવડતી હતી. ઉપરાંત અમદાવાદથી મુંબઈ સુધી અનેક લોકો સાથે તેમનો પરિચય હતો. આ અભિયાનનના ‘રચના’ કાળથી તેમનો તેમાં પ્રત્યક્ષ સહભાગ હતો.
(ક્રમશઃ)