(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29: હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની સ્મૃતિમાં દાદરાનગર હવેલીના ટોકરખાડા હાયર સેકન્ડરી ગુજરાતી માધ્યમ શાળામાં રાષ્ટ્રીય રમત-ગમત દિવસે શાળાના આચાર્યા ડો. મનીષા પટેલે સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના સહાયક શિક્ષણ નિર્દેશક શ્રી પરિતોષ શુક્લા અને રમત-ગમત અધિકારી અને પ્રદેશ એન.એસ.એસ. નોડલ અધિકારી શ્રી ગૌરાંગ વોરાના હસ્તે રીબીન કાપી શાળામાં મેજર ધ્યાનચંદ રમત-ગમત ખંડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ અવસરે શાળાના રમતમાં સારો દેખાવ કરનાર ખેલાડીઓને પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા સહાયક શિક્ષણ નિર્દેશક શ્રી પરિતોષ શુક્લાએ જણાવ્યું હતું કે રમત આપણા જીવનનો મહત્ત્વનો ભાગ છે. જે ફક્ત મનોરંજનના માટે જ નહીં પરંતુ આપણા માનસિક અને શારીરિક વિકાસ માટે ઘણું જરૂરી છે. ઈન્ડોર રમતને આપણે કેરિયરના રૂપે પસંદગી કરી શકીએ છીએ. રમત-ગમત અધિકારી શ્રી ગૌરાંગ વોરાએ જણાવ્યું હતું કે, ઇન્ડોર રમત વિવિધ ઉંમરના લોકોની ફિટનેશ માટે અને ખેલાડીઓને મનોરંજન, સારી કસરત તથા આરોગ્ય અંગેના લાભ આપે છે. જ્યારે રમત-ગમત એકાગ્રતા અને સજાગતાને વધારે છે. રમત-ગમત વ્યક્તિને અનુશાસનની ભાવના અને સમયનો સદ્ઉપયોગ કરવાનું શીખવે છે. એનાથી મસ્તિષ્ક સક્રિય રહે છે.
શાળાના આચાર્યાડો. મનીષા પટેલે જણાવ્યું કે નવી શિક્ષણ નીતિ અનુસાર શાળામાં રમત-ગમત ખંડ હોવો આવશ્યક છે અને રમત એ શિક્ષણનો જ એક ભાગ છે. શિક્ષણનો ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવા માટે ઇન્ડોર અને આઉટડોર ગેમ્સ જરૂરી છે. કાર્યક્રમમાં બાળકોને પણ રમત-ગમત ખંડ બનવાથી ખુશીમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન પીટી શિક્ષક શ્રી ભાવિકભાઈ પટેલે કર્યું હતું. આ અવસરે શાળાના પીટી શિક્ષક અને રમત-ગમત સમિતિના સભ્યો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.