(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.04: શ્રી દીવ જિલ્લા ચોર્યાસી જ્ઞાતિ બ્રહ્મસમાજ સંચાલિત શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે પણ મહાપૂજા રાખવામાં આવેલી હતી. જેમાં ગાયના ઘીની શિવજી, પાર્વતીજી અને ગણેશજી પ્રતિમાની ઝાંખીના દર્શન સવારથી ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. સાંજે સાત વાગ્યે દિપમાળા આરતી અને મહાપુજા અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ શિવધૂન હર હર મહાદેવના નાદથી મંદિરને ગુંજતું કર્યું અને સૌ દર્શનાર્થીઓએ એકબીજાને પવિત્ર શ્રાવણ માસની શુભકામનાઓ પાઠવી, શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર પૌરાણિકઅને ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે અને શિવભક્તો તથા યજમાનશ્રીઓ શ્રાવણ માસમાં પ્રતિદિન દિપમાળા શિવાર્પણ દ્વારા મનોરથ પૂર્ણ કરે છે. શ્રાવણ માસના ત્રીજા પવિત્ર સોમવારે મંદિરમાં મહાદેવની ઝાખી દર્શન કરવા માટે સવારથી જ શિવભક્તોની ભીડ જોવા આવેલ. શ્રાવણ માસમાં અનેક મહાપુજા અને અભિષેકોનુ આયોજન સંચાલક દ્વારા કરવામાં આવે છે. હિન્દુઓના આ શ્રાવણ માસને પવિત્ર મહિનો કહેવાય છે તેમાં ભકતો એકતાણા અપવાસ કરે છે તેથી મંદિરમાં પ્રસાદીમાં ફરારની અનેક વાનગીઓથી સૌ ભકતોને સાથે બેસાડી સંચાલક દ્વારા અપવાસ છોડાવવામાં આવે છે, અહીં મંદિરમાં દર્શનાર્થીઓ માટે ધાર્મિક પુસ્તકોની લાઈબ્રેરી, ચા-પાણી, પરબ તથા બેસવાની સુંદર વ્યવસ્થા ભક્તોને માટે આકર્ષિત કરે છે. શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તોની મનોકામના પૂર્ણ થતા મંદિરમાં વસ્તુઓ ભેટ દાન આપીને સૌને શુભેચ્છા પાઠવે છે.
મંદિરમાં શ્રાવણ માસમાં દરેક સોમવારે શ્રી હરસિધ્ધિ ભજન મંડળ દીવ દ્વારા સાંજે આઠ વાગ્યે સંતવાણી શિવ આરાધના કરવામાં આવે છે. આ સાથે મંદિરમાં આવનાર સર્વે ભક્તો દ્વારા સરકારના સુત્રો જેમાં દીવ સીટી ગ્રીન સીટી, દિકરી બચાવો દિકરી પઢાવોનું મંદિર દ્વારા સમર્થન આપવામાં આવી રહ્યું છે, શ્રાવણ માસના દરેક દિવસોમાંમહાદેવજીના દર્શનનો લ્હવો લઈ આનંદની અનુભૂતિ કરે છે. સંચાલક દ્વારા આ શ્રાવણ માસના ચોથા સોમવારે બરફના શિવલિંગ દ્વારા અમરનાથ બાબાની ઝાંખી સવારથી દર્શન માટે સૌ ભક્તોને આવાહન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજન શ્રી દીવ જિલ્લા બ્રહ્મસમાજ તથા મંદિર સંચાલક શ્રી રોહિત આચાર્ય (પ્રભુ)ના નેજા હેઠળ વ્યવસ્થા કરવામાં આવે છે તથા તુષારભાઈ જોષી અને પ્રતાપભાઈ પૂજારીએ સહયોગ કર્યો હતો.