હવે પીપરિયા બ્રિજના બંને છેડે સેલવાસ ન.પા. અને પોલીસ નજર રાખશેઃ કચરો ફેંકી જનારા સામે સખત કાર્યવાહીની સાથે રૂા.1000નો દંડ પણ કરાશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05 : સેલવાસના પ્રવેશ દ્વાર પીપરિયા બ્રિજના વાપી તરફના છેડે ખડકાયેલા ડુંગરની લેખિત જાણકારી વલસાડ જિલ્લા કલેક્ટરને આપવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરાતા છેવટે આજે સેલવાસ નગરપાલિકા દ્વારા જેસીબી અને પોતાના સફાઈકર્મીઓની મદદથી સાફ કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે દાદરા નગર હવેલીના કલેક્ટર શ્રી પ્રિયાંક કિશોર તથા અધિકારીઓએ પીપરિયા પુલની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી હતી. ગંદકી અને કચરાના ઉભરાયેલા ડુંગર જોતાં તાત્કાલિક સેલવાસ પાલિકાને સાફ-સફાઈ કરવા નિર્દેશ આપ્યો હતો. જેના અનુસંધાનમાં સેલવાસ પાલિકાએ જેસીબી અને પોતાના કર્મીઓની મદદથી ગંદકીના ડુંગર હટાવી લીધા હતા.
સેલવાસ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રજની શેટ્ટીએ લવાછા ગ્રામ પંચાયત તથા સ્થાનિકોને સૂચના આપતાં જણાવ્યું છે કે, આ પુલના બંને છેડે પોલીસ અને સેલવાસ ન.પા.નાકર્મચારીઓ નજર રાખશે અને પીપરિયા બ્રિજના બંને કિનારે કચરો ફેંકી જનારાઓ સામે સખત કાર્યવાહી કરવામાં આવશે તથા કચરો ફેંકનાર સામે રૂા.1000નો દંડ પણ વસૂલ કરાશે.
અત્રે નોંધનીય છે કે, મોટી સંખ્યામાં લવાછા ગામના રહેવાસીઓ દ્વારા પીપરિયા બ્રિજના બંને કિનારે પોતાના ઘરનો કચરો ફેંકી જવાના કારણે સર્જાયેલા ગંદકીના ડુંગરથી કેન્દ્રના મકાન અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા આયોજીત સ્વચ્છ સર્વેક્ષણમાં સેલવાસ પાલિકાના રેંકિંગમાં નકારાત્મક અસર થવાની સાથે વલસાડ જિલ્લાની છબી પણ ખરાબ થઈ રહી છે.