રેલવે દ્વારા માલવાહન પરિવહનના ફાયદા સમજાવ્યાઃ રોડ માર્ગે માલસામાન પરિવહનનો સરેરાશ ખર્ચ રૂા.3.60ની સામે રેલ માર્ગે પ્રતિ ટન ફક્ત રૂા.1.60નો આવતો ખર્ચ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓ સાથે ભારતીય રેલવેના જનરલ મેનેજર શ્રી અનુ ત્યાગીની ઉપસ્થિતિમાં આજે સેલવાસના દમણગંગા સર્કિટ હાઉસ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ સેલવાસના દમણગંગા સર્કિટ હાઉસ ખાતે ઉદ્યોગપતિઓ સાથે ભારતીય રેલવેના જનરલ મેનેજર શ્રી અનુ ત્યાગીની અધ્યક્ષતામાં માલવહન પરિવહનના મુદ્દે એક બેઠક યોજવામાં આવી હતી. ભારતીય રેલવેના જનરલ મેનેજર શ્રી અનુ ત્યાગીએ દાદરા નગર હવેલીના ઉદ્યોગપતિઓને જણાવ્યું કે રેલવે દ્વારા માલવહન પરિવહનના ઘણાં ફાયદા છે. શ્રી અનુ ત્યાગીએ જણાવ્યું હતું કે, રેલવે મંત્રલાય વ્યવસાય કરવાની સરળતાને પ્રોત્સાહન આપવા માટે માલવહન સેવાઓનું વિસ્તરણ કરી રહ્યું છે.
અત્રે યાદ રહે કે, દાદરા નગર હવેલી સહિત આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં કાપડ ઉદ્યોગ ચાલી રહ્યા છે. આ ઉદ્યોગોનો માલ રોડ માર્ગે વહન કરવામાં આવે છે, જેના કારણે સમયની સાથે પરિવહન ખર્ચ પણ વધેછે. સડક માર્ગ દ્વારા માલસામનના પરિવહનનો સરેરાશ ખર્ચ ટનદીઠ 3.60 છે, જ્યારે માલના પરિવહન માટે રેલ સેવાનો ઉપયોગ કરવામાં આવે તો પ્રતિ ટન રૂા.1.60 ખર્ચ થશે.
ભારતીય રેલવેના જનરલ મેનેજરશ્રી અનુ ત્યાગીએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે ટ્રક દ્વારા માલસામાનની હેરફેર કરવામાં 92 કલાકનો સમય લાગે છે ત્યારે રેલવે 20 કલાકમાં માલસામાનને તેના ગંતવ્ય સ્થાને પહોંચાડી રહી છે. નાના એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગ સાહસિકો 10 કિલોથી એક હજાર કિલોગ્રામ સુધીના માલ પરિવહન માટે ટ્રેન બુક કરી શકે છે.
આ બેઠકમાં ભારતીય રેલવેના જનરલ મેનેજર શ્રી અનુ ત્યાગી સહિત દાનહની રિલાયન્સ, ભીલોસા, સનાતન, આલોક, બિકાલોન સહિતની કંપનીઓના ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્યોગપતિઓની બેઠકમાં સંઘપ્રદેશ ભાજપના પ્રમુખ શ્રી દીપેશ ટંડેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.