વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને પીએસઆઈએ ધક્કો મારતા મામલો બિચક્યો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.12: રોહિણા ખાતે દમણગંગા નહેરની સંપાદીત થયેલ જમીનમાં ગેરકાયદેસર રીતે કબજો કરી દુકાનો ચલાવનારાઓનું દુકાનનું ડિમોલિશન કરવા આજરોજ દમણગંગા નહેર વિભાગના અધિકારી, પારડી પ્રાંત મામલતદાર, પોલીસના મોટા કાફલા સાથે રોહિણા ખાતે પહોંચી હતી.
વલસાડ ડી.વાય.એસ.પી. એ.કે. વર્માના અનેક સમજાવટ છતાં આદિવાસીઓ પોતાનીદુકાનો તોડવા રાજી ન થતા અને કાયદો પોતાના હાથમાં લેતા આ દુકાનદારોની મદદગારીએ આવેલ કપરાડાના વસંત પટેલ, ધરમપુરના કલ્પેશ પટેલ, ખેરગામના ડોક્ટર નીરવ પટેલ, રવિ પટેલ, રૂઢિ ગામ સભાના રમેશભાઈ, ગામના સરપંચ રવિન્દ્ર પટેલ, સહિત અન્ય આગેવાનો તથા દુકાનદારોને પોલીસે ડીટેઇન કરી પારડી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા.
આ અંગેની જાણ વાંસદાના ધારાસભ્ય અને આદિવાસી એવા અનંત પટેલને થતા તેઓ પણ પારડી પોલીસ સ્ટેશન ખાતે આ લોકોને મળવા માટે આવ્યા હતા.
આ દરમિયાન પારડી પોલીસ સ્ટેશનની અંદર પ્રવેશ કરવા જતા બંદોબસ્તમાં હાજર એસ.ઓ.જી.ના પી.એસ.આઈ બી.એચ. રાઠોડે એમને રોકવાનો પ્રયાસ કરતા ધારાસભ્ય અનંત પટેલને ધક્કો લાગતા મામલો બીચકયો હતો અને ડીટેઈન થઈને આવેલ આદિવાસીઓ તથા પોલીસ સ્ટેશનની બહાર બેઠેલા અન્ય મોટી સંખ્યામાં હાજર આદિવાસીઓએ પોલીસ સ્ટેશનની સામેના સર્વિસ રોડ પર બેસી જઈ ચક્કાજામ કરી દીધો હતો.
ખૂબ જ સમજાવવા છતાં પોતાની જીદ પર અડગ રહેતા ફરી એક વખત ડીવાયએસપી એ.કે. વર્માએ મામલો સંભાળી એસઓજીના પીએસઆઈ બી.એચ. રાઠોડ પાસે માફી મંગાવતા મામલો શાંત પડ્યો હતો અને સૌ આનંદ પટેલની આગેવાનીમાં રેલી સ્વરૂપે પારડી મામલતદાર કચેરી ખાતે પહોંચીપારડી પ્રાંત ડી.જે. વસાવાને મળ્યા હતા અને આજે જે બન્યું એ ખોટું હોવાનું જણાવી કાલથી ફરીથી સૌ દુકાનદારો પોતાની દુકાન ચાલુ રાખશે હોવાનું જણાવ્યું હતું.