ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.26: ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં અમલી બનાવાયેલ જ્ઞાન સહાયક યોજનાનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. જેમાં 11 માસની શિક્ષકો માટે ભરતી કરારની જોગવાઈ છે. તેનો ભાવિ શિક્ષકો ઠેરઠેર વિરોધ કરી રહ્યા છે. આજે વલસાડમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને આદિવાસી આગેવાનોની આગેવાની હેઠળ વિશાળ રેલી કાઢવામાં આવી હતી. જ્ઞાન સહાયક યોજના રદ્દ કરવાની માંગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું.
સરકાર દ્વારા 11 માસની કરાર આધારિત જ્ઞાન સહાયકોની યોજના રજૂ કરેલ છે. જેમાં શિક્ષકો જોડાઈ શકે છે. પરંતુ ટેટ-ટાટ પાસ કરેલ વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે. તેવા શિક્ષક બનવા માગતા વિદ્યાર્થીઓની ભરતી કરવાની ઠેર ઠેર માંગ ઉઠી રહી છે. આજે વલસાડમાં આ મુદ્દે વિશાળ રેલી યોજાઈ હતી અને માંગણી કરવામાં આવી હતી કે જ્ઞાન સહાયક યોજના રદ્દ કરો. ટેટ-ટાટ પરીક્ષા આપેલ ઉમેદવારોને કાયમી કરવાની માંગણી કરવામાં આવી હતી. ભાવિ શિક્ષકોના સમર્થનમાં મહારૂઢી ગ્રામ સભાના અધ્યક્ષ રમેશભાઈ બોપી ગામના માજી સરપંચ નિકુંજભાઈ, ધરમપુર તા.પં. અપક્ષ સભ્ય શૈલેષ પટેલ જેવા આગેવાનોની રાહબરીમાં રેલી યોજાઈ હતી તેમજ તા.30 સપ્ટેમ્બરે આ મામલે વલસાડમાં ફરી ભેગા થવાનું નક્કી કરવામાં આવેલ છે.