ઘેજ ગામે બગીમાં ગણેશજીની મૂર્તિની વિસર્જનયાત્રા કાઢવામાં
આવતા ગામ લોકોમાં જાવા મળેલો ભારે ઉત્સાહ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.28
ચીખલી તાલુકામાં વાજતે ગાજતે ડીજે સંગીતના તાલે અબીલ ગુલાલની છોળ વચ્ચે ગણપતિ બાપ્પા મોરિયા આવતા વર્ષે લવકર્યાના નાદ સાથે ગણપતિ બાપાની મૂર્તિનું નદી તળાવમાં વિસર્જન કરી ભાવભીની વિદાય આપવામાં આવી હતી. ચીખલીમાં પોલીસ દ્વારા માર્ગો પર ડાયવરઝન આપી ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.
ચીખલી તાલુકામાં ગણેશ મહોત્સવની ધૂમ વચ્ચે અનંત ચૌદશના દિવસે બાપાને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. ચીખલીમાં કાવેરી નદીના રિવરફ્રન્ટ સ્થિત ઓવારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વીએચપીના સ્વયં સેવકો દ્વારા બેરીકેટ કરાયું હતું. ત્યાંથી જ મૂર્તિ લઈને વિસર્જન કરી દેવામાં આવ્યું હતું. ચીખલીમાં મોડી રાત સુધી વિસર્જન ચાલતું હોય વિસર્જનના રૂટ પર ચુસ્ત બંદોબસ્ત સાથે સામાન્ય લોકોને હાલાકી ન પડે તે માટે જરૂરી ડાયવરઝન પણ આપવામાં આવ્યું હતું.
ચીખલીમાં કાવેરી નદીના ઓવરે જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ ડીવાયએસપી એન.પી.ગોહિલ પીઆઈ કે.જે.ચૌધરી સહિતના અધિકારીઓએ મુલાકાત લીધી હતી. ચીખલીમાં ડીજે સંગીતના તાલે વાજતે ગાજતે નાચ ગાન સાથે અબીલ ગુલાલની છોળ વચ્ચે વિસર્જન યાત્રાઓ નીકળી હતી. અને માર્ગો અબીલ ગુલાલથી રંગાઈ ગયા હતા. ગણપતિ બાપ્પા મોરિયા આવતા વર્ષે લવકર્યા ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ઘેજ ગામના ભરડા નિશાળફળીયામાં બગીમાં ગણપતિ બાપાને બિરાજમાન કરી વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી. ચીખલીમાં કાવેરી નદી ઉપરાંત ઘેજ, મલિયાધરા પાસે ખરેરા નદી તથા અંબિકા નદી સ્થાનિક કોતરો અને તળાવોમાં બાપાની મૂર્તિનું વિસર્જન કરી ભાવભીની વિદાય અપાઈ હતી. અને ગામે ગામ મહાપ્રસાદ પણ યોજાયો હતો.