(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.28: આજરોજ અનંત ચૌદસ એટલે ગણપતિ બાપાનો વિદાયનો દિવસ 11-11 દિવસ આપણી સાથે રહી લોકોની અનેક માનતાઓ પૂર્ણ કરી અને અન્ય બીજા અનેક લોકોની મહેચ્છાઓ પૂર્ણ કરવા અને આવતા વર્ષે ફરીથી આવવા માટે બાપાની ભવ્યથી ભવ્ય વિદાય એટલે ગણેશવિસર્જન.પારડીમાં નાના મોટા 40 થી વધુ ગણેશ મંડળો દ્વારા આજરોજ ગણેશ વિસર્જન કરવામાં આવ્યા હતા. જેને લઈ પાર નદી કિનારે અગાઉથી જ પારડી નગરપાલિકા, ચંદ્રપુર લાઇફ સેવર ટ્રસ્ટ, પારડી પોલીસ તથા અન્ય સેવાકીય સંસ્થા દ્વારા ગણેશ મંડળો તથા ગણેશ ભક્તોને કોઈ અગવડ ન પડે અને ખૂબ શાંતિપૂર્વક અને હર્ષોઉલ્લાસથી, નાચતા ગાતા, ડીજેના સથવારે, ગુલાલના રંગે અને આતસબાજીના સથવારે બાપાને ભવ્યથી ભવ્ય વિદાય આપે એ માટેની તમામ તૈયારીઓ કરાઈ હતી.પારડીના અનેક મંડળો દ્વારા નીકળેલ બાપાની વિદાય યાત્રા સમગ્ર નગરના લોકોને બાપાના દર્શન કરાવી વહેલી સાંજ સુધીમાં નાચતા ગાતા બાપાને વિદાય આપવા પાર નદી કિનારે આવી પહોંચ્યા હતા. જ્યાં નાના ગણેશજીને ચંદ્રપુર લાઈફ સેવર ટ્રસ્ટ દ્વારા હોડીઓ દ્વારા ગણેશજીને પાર નદીમાં લઈ જઈ વિદાય આપવામાં આવી હતી જ્યારે મોટા ગણેશજી માટે ક્રેઈનની સગવડ પણ હોય ક્રેઈન દ્વારા બાપાને લઈ જઈ વિદાય આપવામાં આવી હતી.મોડી રાત સુધી ચાલેલા આ ગણેશ વિસર્જનને નિહાળવા લોકોનું ઘોડાપૂર પાર નદી કિનારે ઉમટયું હતું અને સૌએ સાથે મળી ગણપતિ બાપા મોરિયા અગલે બરસ તું જલ્દી આ જેવા અનેક નારાઓ લગાવતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. જ્યારે બીજી તરફ 11દિવસ આપણી સાથે ઘરના સભ્યોની જેમ રહેલ બાપાને વિદાય આપતા કેટલાય લોકોના આંખોમાં હર્ષના આંસુ પણ છલકાયા હતા.
આ ગણેશ વિસર્જન માટે પારડી નગરપાલિકા દ્વારા પાર નદી ઓવારા સુધીના રસ્તાઓ, લાઈટિંગ, નાસ્તા પાણીની સગવડો કરવામાં આવી હતી. જ્યારે મોક્ષરથ તરફથી લીંબુ શરબત લોકોને ફ્રીમાં વહેચવામાં આવ્યું હતું.
મોડી રાત સુધી ચાલેલા આ વિસર્જન માટે ખરેખર ચંદ્રપુર લાઇફ સેવા ટ્રસ્ટના યુવાનોને જેટલા અભિનંદન આપે એટલા ઓછા છે કારણ કે એમના થકી જ આ વિસર્જન શકય બન્યુ હતું. જ્યારે પારડી પોલીસ પણ એટલી જ અભિનંદનને પાત્ર છે કારણ કે પારડી પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને ટ્રાફિક જાળવણીને લઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બનતા શાંતિપૂર્ણ માહોલમાં આ ગણેશ વિસર્જન મહોત્સવ પૂર્ણ થયો હતો.