સમુદ્ર તટના મહા સફાઈ અભિયાનમાં ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, પ્રશાસનિક અધિકારીઓ અને આમ નાગરિકો મોટી સંખ્યામાં જોડાશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.29 : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2 ઓક્ટોબર, 2014થી ઐતિહાસિક ‘સ્વચ્છ ભારત’ અભિયાનની કરેલી પહેલ અંતર્ગત આ વર્ષે 1લી ઓક્ટોબરે દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવશે.
પ્રાપ્ત માહિતી મુજબ કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય અને અને પીવાના પાણી અને જળશક્તિ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે મહાત્મા ગાંધીની જન્મ જયંતિ પહેલાં વડાપ્રધાનશ્રીએ દેશના નાગરિકોને એક અનોખું આહ્વાન કર્યું છે. જેના અંતર્ગત કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિશ્વપ્રસિદ્ધ દમણના દેવકા બીચ પર સંપૂર્ણ સમુદ્ર કિનારાની સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી સાફ-સફાઈ કરવામાં આવશે.
આ મહા સફાઈ અભિયાનમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, પ્રશાસનિક અધિકારીઓ, સરકારી કર્મચારીઓ સહિત આમ નાગરિકો મોટી સંખ્યામાં ભાગ લેશે. આ અભિયાન અંતર્ગત દમણ જિલ્લામાં કેટલીક સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાંસુયોજિત પાસાઓ હેઠળ સૌથી વધુ શ્રમદાન અને સાફ-સફાઈ કરનારી ટીમને પુરસ્કાર અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવશે.
મળેલી માહિતી મુજબ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ગાંધી જયંતી પહેલાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘મન કી બાત’ની 105મી લીટીમાં દેશના તમામ નાગરિકોને એક અનોખા આહ્વાન દ્વારા 1લી ઓક્ટોબરે સવારે 10 વાગ્યે સામુહિક રીતે સ્વચ્છતા અભિયાન માટે એક કલાકનું શ્રમદાન કરવાની અપીલ કરી છે અને જણાવ્યું છે કે, મહાત્મા ગાંધીજીની જયંતિની પૂર્વ સંધ્યાએ તેમને સ્વચ્છાંજલિ આપવામાં આવશે. જેના અંતર્ગત દમણ જિલ્લાના દેવકા બીચ પર પણ મહાસફાઈ અભિયાન ચલાવવામાં આવશે. આ સફાઈ અભિયાનમાં દમણ જિલ્લાના શહેરી તથા ગ્રામ પંચાયત વિસ્તારના લોકોને ભાગ લેવા પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવી છે. મહાસફાઈ અભિયાન માટે દમણ જિલ્લાની વિવિધ વિભાગોની ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે. જેનું નામ દમણ કોસ્ટલ ધર્મયૌદ્ધા રાખવામાં આવ્યું છે. તમામ વિભાગો દ્વારા વોલન્ટિયરોની નિયુક્તિ કરવામાં આવી છે જેઓ સફાઈ અભિયાનમાં શ્રમદાન કરશે.