રાષ્ટ્રીય ભાજપાએ ઓબીસી નેતા વિશાલભાઈ ટંડેલને મોટા પ્રમાણમાં ઓબીસી સમાજની વસ્તી ધરાવતા એવા ગુજરાત રાજ્યની જવાબદારી સોંપી વધારેલું કદ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.29 : ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વએ સંઘપ્રદેશ દમણના નેતા શ્રી વિશાલભાઈ ટંડેલને મોટા પ્રમાણમાં ઓબીસી સમાજની વસ્તી ધરાવતા એવા ગુજરાત રાજ્યમાં ભાજપ મોરચાના પ્રભારી તરીકેની વધુ જવાબદારી સોંપી છે.
અત્રે યાદ રહે કે, છેલ્લા કેટલાક સમયથી શ્રી વિશાલભાઈ ટંડેલ દેશના પૂર્વોત્તર રાજ્ય આસામના ભાજપ ઓબીસી મોરચાના પ્રભારીની જવાબદારી નિભાવી રહ્યાહતા. અહીં તેઓ વારંવાર મુલાકાત કરીને ભાજપના ઓબીસી સંગઠનને મજબૂત કરવામાં સફળ રહ્યા હતા. શ્રી વિશાલભાઈ ટંડેલની કામગીરીને રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાએ ધ્યાનમાં લઈને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિત શાહના ગૃહરાજ્ય ગુજરાતમાં મહત્વની જવાબદારી સોંપી છે. ગુજરાત રાજ્ય ભાજપ ઓબીસી મોરચાના પ્રભારી શ્રી વિશાલ ટંડેલે તેમને આ નવી જવાબદારી આપવા બદલ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો.
શ્રી વિશાલભાઈ ટંડેલે જણાવ્યું હતું કે, હું ભગવાનને પ્રાર્થના કરૂં છું કે, તેઓ મને સોંપવામાં આવેલ જવાબદારી પુરી નિષ્ઠા અને પ્રમાણિકતા સાથે નિભાવવાની શક્તિ આપે.
અત્રે નોંધનીય છે કે, શ્રી વિશાલ ટંડેલ છેલ્લા અઢી દાયકાથી કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દીવના રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. તેમની પાસે શાસન અને સંગઠન બંને ક્ષેત્રોમાં નિપુણતા રહેલી છે અને તેનાથી જ પ્રભાવિત થઈને રાષ્ટ્રીય ભાજપે આસામ રાજ્યના ભાજપ ઓબીસી મોરચાની જવાબદારી સોંપ્યા બાદ હવે ફરી એક વખત તેમને ગુજરાત રાજ્યના ભાજપ ઓબીસી મોરચાની બહુ મોટી જવાબદારી સોંપી છે.