-
વિદ્યાર્થીઓ અને પરિવારમાં આનંદનીલાગણીઃ પાસ આઉટ થતાં જ દેશની સુપ્રસિદ્ધ મલ્ટિ સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં કામ કરવા મળવાની તકથી વિદ્યાર્થીઓ રોમાંચિત
-
મેડિકલ અને હેલ્થ સેવા વિભાગના સલાહકાર અને મેડિકલ એજ્યુકેશનના સી.ઈ.ઓ. ડો. વી. કે. દાસે પ્રદેશની ભૌગોલિક, સાંસ્કૃતિક તથા પારિવારિક માહિતી સાથે વિદ્યાર્થીઓના સંઘર્ષ અને સુપ્રસિદ્ધ કોકિલાબેન હોસ્પિટલમાં સેવા આપવા મળનારી તકના સંદર્ભમાં પ્રદાન કરેલી અનોખી આંતરદૃષ્ટિ અને પ્રેરણા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.08 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ મુંબઈની સુપ્રસિદ્ધ કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલ અને રિસર્ચ ઈન્સ્ટિટયૂટ દ્વારા દાનહની નમો મેડિકલ કોલેજના પરિસરમાં આયોજીત કેમ્પસ ઈન્ટરવ્યુમાં શ્રી વિનોબા ભાવે કોલેજ ઓફ નર્સિંગની 55 વિદ્યાર્થીનીઓ અને ગવર્નમેન્ટ કોલેજ ઓફ નર્સિંગ દમણની 48 વિદ્યાર્થીનીઓની કરાયેલી પસંદગી સાથે 100 ટકા પ્લેસમેન્ટ થતાં વિદ્યાર્થીઓ અને તેમના પરિવારમાં પણ આનંદની લાગણી ફેલાઈ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ મુંબઈની સુપ્રસિદ્ધ કોકિલાબેન હોસ્પિટલ દ્વારા છેલ્લા બે વર્ષથી પ્રદેશની બંને નર્સિંગ કોલેજોના વિદ્યાર્થીઓ માટે કેમ્પસ ઈન્ટરવ્યુનુંઆયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે પ્રશાસકશ્રીના નિર્દેશથી કોકિલાબેન હોસ્પિટલના સંચાલકો દ્વારા સંઘપ્રદેશના સ્થાનિક વિદ્યાર્થીઓ અને નર્સોને સામેલ કરવાનો પણ નિર્ણય લેવાયો હતો. જેમાં દેશના વિવિધ વિસ્તારમાંથી જીએનએમ અને બી.એસ.સી. નર્સિંગ કરનારાઓને પણ સામેલ કરાયા હતા.
કાર્યક્રમના પ્રારંભમાં મેડિકલ અને હેલ્થ સેવા વિભાગના સલાહકાર અને મેડિકલ એજ્યુકેશનના સી.ઈ.ઓ. ડો. વી. કે. દાસે પોતાના પ્રેરણાદાયી વક્તવ્યમાં ઉપસ્થિત લોકોને પ્રદેશની ભૌગોલિક, સાંસ્કૃતિક તથા પારિવારિક માહિતી સાથે વિદ્યાર્થીઓના સંઘર્ષ અને સુપ્રસિદ્ધ કોકિલાબેન હોસ્પિટલમાં સેવા આપવાની મળનારી તકના સંદર્ભમાં અનોખી આંતરદૃષ્ટિ અને પ્રેરણા પ્રદાન કરી હતી.
કોકિલાબેન ટીમનું નેતૃત્વ નર્સિંગ જનરલ મેનેજર હાવોવી ફૌજદારે કર્યું હતું. કોકિલાબેન નર્સિંગ કોલેજના વાઈસ પ્રિન્સિપાલ સુશ્રી ચિત્રા નાઈક અને માનવ સંસાધન વિભાગના સુશ્રી નિમિષા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ કોકિલાબેન હોસ્પિટલના પરિચયની સાથે કાર્યવાહી શરૂ કરી હતી અને ત્યારબાદ ઈન્ટરવ્યુનો આરંભ કરાયો હતો.
ઈન્ટરવ્યુમાં કુલ 150 ઉમેદવારોએ ભાગ લીધો હતો. જેમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવની 47 સમર્પિત નર્સો સામેલ હતી. જે પૈકી 25 ઉમેદવારોને પ્રસ્તાવ મળ્યો હતો.જ્યારે શ્રી વિનોબા ભાવે સિવિલ ઓફ નર્સિંગના 55 અને ગવર્નમેન્ટ કોલેજ ઓફ નર્સિંગ દમણના 48 વિદ્યાર્થીઓને ઈન્ટરવ્યુમાં ભાગ લીધો હતો. જેમાં તમામની પસંદગી કરવામાં આવી હતી. કોકિલાબેન હોસ્પિટલ સંઘપ્રદેશમાં આરોગ્ય સેવાના કાર્યબળમાં યોગદાન કરી નર્સિંગ વ્યવસાયીઓ અને વિદ્યાર્થીઓને અવસર પ્રદાન કરવા માટે પ્રતિબધ્ધ હોવાની લાગણી પણ પ્રગટ કરાઈ હતી.