સંઘપ્રદેશમાં પર્યાવરણ અને ગૌવંશને બચાવવાની પહેલ કરનારા દમણના યુવા નેતા તનોજ પટેલે પ્રદેશના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓને તેમના કર્તવ્યો નિભાવવા આપેલી સલાહ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.09 : દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેદ્રભાઈ મોદીની કૃપાદૃષ્ટિ અને સીધી નજર હેઠળ કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્વમાં ટચૂકડા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવનો તમામ મોરચે સર્વાંગી વિકાસ થયો છે અને હંમેશા પ્રયાસરત છે તે બદલ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પર્યાવરણ અને ગૌવંશને બચાવવાની પહેલ કરનારા દમણના નવયુવાન નેતા શ્રી તનોજ પટેલે પ્રશંસા કરી છે. પરંતુ ક્યાંક ક્યાંક બાકી રહી ગયેલા વિકાસના કામો બાબતે પ્રદેશના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનું તેમણે ધ્યાન દોર્યુંછે.
પ્રાપ્ત માહિતી મુજબ દમણના યુવા નેતા શ્રી તનોજ પટેલે સોશિયલ મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું છે કે, કેન્દ્રની મોદી સરકાર અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સબળ નેતૃત્વ અને દિશા-નિર્દેશમાં આપણાં સંઘપ્રદેશમાં તમામ ક્ષેત્રે વિકાસ થયો છે, અને ઔર વધુ વિકાસ માટે પ્રયાસરત છે, પરંતુ પ્રદેશના ચૂંટાયેલા કેટલાક જનપ્રતિનિધિઓ વિકાસ બાબતે ઉદાસિન હોવાનું જણાય છે.
શ્રી તનોજ પટેલે ચૂંટાયેલા જન પ્રતિનિધિઓનું ધ્યાન દોરતાં જણાવ્યું છે કે, નાની દમણના દેવકા રોડ સ્થિત દમણની શાન ગણાતા એવા ત્રણબત્તી ટાવર ઉપરનું ઘડિયાળ છેલ્લા ઘણાં સમયથી બંધ હાલતમાં છે, તેવી રીતે બામણપૂજા ગામ ખાતે ત્રણ રસ્તા વચ્ચેના સર્કલ ઉપર આવેલ જમીન ઘડિયાળ પણ ઘણાં સમયથી બંધ હોવાનું નજરે પડે છે, ઉપરાંત ઘડિયાળનો કાચ પણ તૂટી ગયેલી હાલતમાં જોવા મળે છે. જે હિંદુશાષા અને વાસ્તુ પ્રમાણે અશુભ સંકેત હોવાનું અને પ્રદેશના વિકાસની પ્રગતિમાં બાધારૂપ હોવાનું યુવા નેતા શ્રી તનોજ પટેલે જણાવ્યું છે. યુવા નેતા શ્રી તનોજ પટેલે પ્રદેશના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓને તાકિદ કરતા જણાવ્યું છે કે, તમે ચૂંટણી જીતીને તમારા કર્તવ્યો ભૂલી ન જાવ, તમારા કર્તવ્યો નિભાવો, તમારાથી કામ નહીં થાય તો તમેજે તે તંત્રને આવેદનપત્ર આપીને વંચિત રહેલા કામો બાબતે માહિતી પહોંચાડો જેથી કોઈપણ કામ બાકી રહી ન જાય અને દમણની સુંદરતા વધે.