દીવના ફિશરીઝ અધિકારી તરીકે લાંબા સમયથી કાર્યરત સુકર આંજણીના દીવના એક રાજકારણી સાથે ધંધાકીય સંબંધ હોવાની પણ ચર્ચાઃ માછીમારોએ ઉચ્ચ સ્તરે ફિશરીઝ અધિકારી વિરૂદ્ધ કરેલી અનેક ફરિયાદો છતાં સીબીઆઈ અધિકારીઓ ખાલી હાથે ગયા મતલબ..
(વર્તમાન પ્રવાહન્યુઝ નેટવર્ક)
દીવ, તા.11 : દીવ ખાતે ફિશરીઝ અધિકારી તરીકે લાંબા સમયથી કાર્યરત સુકર આંજણીના ઘરે આજે દેશની સર્વોચ્ચ તપાસ સંસ્થા સી.બી.આઈ.એ દરોડો પાડતાં સમગ્ર પંથકમાં ટોક ઓફ ધ ટાઉન ઘટના બની હતી. દરોડા દરમિયાન સી.બી.આઈ.ની ટીમને કશું પણ વાંધાજનક નહીં મળ્યું હોવાનો દાવો ફિશરીઝ અધિકારી સુકર આંજણીએ પત્રકારો સાથેની અનૌપચારિક વાતચીતમાં કર્યો હોવાનું પણ જાણવા મળે છે.
દેશની સર્વોચ્ચ તપાસ સંસ્થા સી.બી.આઈ.એ. ‘ખોદ્યો ડુંગર અને નિકળ્યો ઉંદર’ એવો ઘાટ થયો હોવાનું ફિશરીઝ અધિકારી સુકર આંજણીના નજીકના વર્તુળો દ્વારા પણ ઠોકીને જણાવવામાં આવી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફિશરીઝ અધિકારી સુકર આંજણીના દીવના એક રાજકારણી સાથે ધંધાકીય સંબંધો હોવાની વાતો પણ દીવના વર્તુળોમાં પ્રસરી રહી છે. સુકર આંજણીના વિરૂદ્ધ દીવના કેટલાક માછીમારોએ પણ અનેક ફરિયાદો ઉચ્ચ સ્તરે કરેલી હોવાની માહિતીઓ પણ વહેતી થઈ રહી છે. નજીકના ભૂતકાળમાં સી.બી.આઈ.ના એક અધિકારીએ તેમના વિરૂદ્ધ લાગેલા આરોપોને મિટાવી દેવા માટે લાંચ પણ માંગી હતી. પરંતુ સુકર આંજણીએ લાંચ માંગનાર અધિકારીની ફરિયાદ ઉચ્ચ સ્તરે કરી હતી.
દીવના ફિશરીઝ અધિકારી સુકર આંજણીના નિવાસ સ્થાનેસી.બી.આઈ.ની પડેલી રેડથી ભ્રષ્ટ અધિકારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે અને આવતા દિવસોમાં સંઘપ્રદેશ પ્રશાસનનું ભ્રષ્ટાચાર વિરોધી દળ પણ કેટલાક અધિકારીઓ ઉપર ત્રાટકે એવા અણસાર પણ મળી રહ્યા છે.