જવાબદાર વિભાગે માપ જોઈને ફીટ કરેલા ગળીયામાંથી મુક્તિ મેળવવામાં નિર્દોષ કંપની સફળઃ હવે આ સર્જાયેલી સમસ્યા માટે દોષિત કોણ ઘેરાતું રહસ્ય
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.11: કરજગામના રાયવાડી વિસ્તારમાં પ્રદૂષિત થયેલા બોરિંગોના પાણીના મુદ્દે સુડી ઉપર ચડાવી દેવાયેલી રીધન કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને ક્લીન ચીટ આપતો એસવીએનઆઈટી અને વોટર સપ્લાય એન્ડ સિવરેજ બોર્ડનો રિપોર્ટ આવ્યો છે. જે રિપોર્ટ બાદ કંપનીને આપવામાં આવેલું ક્લોઝર રીવોક કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ સર્જાયેલી સમસ્યાના દોષિતોને શોધવું જવાબદાર વિભાગ માટે પડકાર બની જવા પામ્યુ છે. બીજી તરફ નિર્દોષ કંપનીને કયા પૃથ્થકરણના આધારે ક્લોઝર આપવામાં આવી હતી એ પણ વેધક સવાલ સામે આવી રહ્યો છે. જ્યારે ટ્રાયલ બેસ ઉપર પ્રારંભ કરવામાં આવેલી કંપનીનું પ્રથમ ગ્રાસે મક્ષીકા કરી દેવાતા છેલ્લા દસ મહિનાથી બંધ રહેલીકંપનીને ભારે નુકસાન સહન કરવા પડ્યું હોવાનું અંદાજવામાં આવી રહ્યું છે. કંપની બંધ રહેતા થયેલા નુકસાની માટે જવાબદાર કોને ઠેરવવામાં આવશે એ પણ તપાસનો વિષય બની જવા પામ્યો છે.
બે દિવસ પહેલા એસઆઈએના પ્રમુખશ્રી નિર્મલભાઇ દુધાની, સેક્રેટરીશ્રી કૌશિકભાઈ પટેલ, ટ્રેઝરરશ્રી પારેખ, નોટિફાઇડ બોર્ડ ઓફ મેનેજમેન્ટના માજી ચેરમેનશ્રી સજજનભાઈ મુરારકા અને એડવાઈઝરી કમિટીના ચેરમેનશ્રી શિરીષભાઈ દેસાઈ સાથે આદિવાસી નેતાશ્રી મિતેશભાઇ પટેલ, કરજગામના માજી સરપંચશ્રી કમલેશભાઈ પટેલ અને કરજગામ રાયવાડીના રહીશો સાથે પત્રકારોની હાજરીમાં એસઆઇએના સભાખંડમાં એક બેઠક મળી હતી. આ બેઠક પહેલા એસઆઈએના અગ્રણીઓ અને પત્રકારોએ બોરિંગનું સ્થળ નિરીક્ષણ કરી વર્તમાન સ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો અને સ્થળ નિરીક્ષણમાં બોરિંગનું પાણી પ્રદૂષિત અને કલરયુકત હોવાનું જણાયું હતું. જે વાસ્તવિક સમસ્યાનો એસઆઈએના અગ્રણીઓએ સ્વીકાર કર્યો હતો અને સર્જાયેલી સમસ્યાના સમાધાન માટે હાલ પૂરતું ટેન્કર મારફતે પાણી પુરવઠો પહોંચાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આમ આદિવાસીઓની ફરિયાદને ખોટી સાબિત કરવાનો બાલીસ પ્રયાસ કરી રહેલા વિઘ્ન સંતોષીઓ વાસ્તવિકતાથી અજાણહોવાનું સાબિત થઈ રહ્યું છે. ખરેખર પ્રદૂષિત બોરિંગ થતા સમસ્યાનો સામનો કરી રહેલા આદિવાસી પરિવાર અને ન્યાય માટે જવાબદાર વિભાગનું ધ્યાન દોરી રહેલા આદિવાસી નેતાઓની ફરિયાદ સાચી છે જેમનું કાયમી નિરાકરણ આવે એ દિશામાં પગલાં ભરવા જોઈએ એ સમયની માંગ છે.