પાલિકા પ્રમુખ મનીષ રાય અને કારોબારી અધ્યક્ષ અંકુશ કામળી તેમજ ચીફ ઓફિસર અતુલચંદ્ર સિંહાએ પ્રજાનું હિત અને જીવદયાને સમક્ષ રાખી વોર્ડ નંબર સાત વિસ્તારની બે એકર જમીનમાં પશુઓનું બનાવેલું સુરક્ષિત સ્થાન સાથે ગૌશાળાના નિર્માણની કામગીરીનો પ્રારંભ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.11 : ઉમરગામ પાલિકાના વોર્ડ નંબર સાતમાં બે એકર જમીનમાં આજરોજ ધારાસભ્ય રમણભાઈ પાટકરના હસ્તે ગૌશાળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સ્થળે પાલિકા તંત્રએ હંગામી ધોરણે જમીનની ફરતે કમ્પાઉન્ડ અને પશુઓના ખોરાકને સંગ્રહ કરવા માટે પતરાનો શેડ તેમજ પાણીની વ્યવસ્થા ઉભી કરી રખડતા ઢોરોને સંગ્રહ કરવાની કામગીરી ચાલુ કરી છે. પાલિકા તંત્રએ રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્ત અપાવવા અભિયાન ચાલુ કરેલું છે. પાલિકા વિસ્તારના ઢોરોને પકડી પાલિકાની જૂની કચેરીના મેદાનમાં રાખવામાં આવી રહ્યા હતા.હવે આજથી વોર્ડ નંબર સાતના બે એકર મેદાનના મોકળાશવાળી જગ્યાએ ઢોરોને સ્થળાંતર કરી પૂરતી વ્યવસ્થા ઉભી કરતા અસરકારક પરિણામ આવવાની શકયતા દેખાઈ રહી છે. આ કામગીરી ચીફ ઓફિસર અતુલ ચંદ્રસિંહના વહીવટી અનુભવ અને યુવા તેમજ ઉત્સાહી પાલિકાના કારોબારી અધ્યક્ષ અંકુશભાઈ કામળીની વિચારધારા સાથે પ્રમુખ મનીષભાઈ રાયનો પૂરે પૂરો સહયોગ પ્રાપ્ત થતા પરિણામ લક્ષી કામગીરી થઈ રહી હોવાનું જણાઈ રહ્યું છે.
આ પ્રસંગે ઉમરગામ પાલિકાના ઉપ પ્રમુખ જયશ્રીબેન અજયભાઈ માછી, શાસક પક્ષના નેતા રાજાભાઈ ભરવાડ, પાલિકાના સભ્ય આદિત્યભાઈ, માજી સભ્ય સુનિલભાઈ પાર્વે, ભાજપના વરિષ્ઠ નેતા મણિકાંતભાઈ ઝા તેમજ મોટી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન શહેર ભાજપ મહામંત્રી મનોજભાઈ ઝા દ્વારા કરવામાં આવ્યું હતું.