(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.29: દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વ અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં સુરત અને અમદાવાદથી દીવ માટે વિમાન સેવાનો પ્રારંભ આજથી થયો છે. કેન્દ્ર સરકારની ‘ઉડાન 5.0′ યોજના અંતર્ગત સુરત અને અમદાવાદથી આ સેવા શરૂ થઈ રહી છે. આ ફલાઈટ ઈન્ડિગો એરલાઈન્સ (6ઈ)ની હશે અને આજથી રોજ સંચાલિત થશે. દીવથી સુરત અને સુરતથી દીવ આવવા-જવા માટે એરલાઈન્સની ટિકિટનો ખર્ચ લગભગ રૂા.2500 પ્રતિ ટિકિટ રહેશે. જ્યારે દીવથી અમદાવાદ અને અમદાવાદથી દીવ માટે લગભગ રૂા.3100ની એક ટિકિટ હશે.
અત્રે નોંધનીય છે કે, સુરત અને અમદાવાદથી દીવ માટે સીધી વિમાની સેવા શરૂ થવાથી પ્રવાસનને પણ ઉત્તેજન મળશે અને ધંધા-વેપાર સંભાવનાઓમાં પણ વધારો થશે.
મળતી માહિતી પ્રમાણે આવતા દિવસોમાં સ્પાઈસ જેટ અને ઘોડાવત ગ્રુપની હવાઈ સેવા પણ સુરત અને અમદાવાદથી દીવ માટે શરૂ થવાની છે. આ ક્રમમાં દીવથી સૌરાષ્ટ્ર માટે પણ હવાઈ ઉડાનો શરૂ કરાશે. જેથી શ્રદ્ધાળુઓને ધાર્મિક સ્થળોના અવાગમન માટે પણ સુગમતા રહેશે.