(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03 : આગામી દિવાળીના તહેવારને નજર સમક્ષ રાખતાં દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસન દ્વારા સેલવાસ કલેક્ટર કચેરી ખાતે સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ અને નિવાસી નાયબ કલેક્ટર(આરડીસી) સુશ્રી ચાર્મી પારેખની અધ્યક્ષતામાં ફટાકડાના વેપારીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સેલવાસના સબ ડિવિઝનલ મેજીસ્ટ્રે અને આરડીસી સુશ્રી ચાર્મી પારેખે આગામી દિવાળીના તહેવારને અનુલક્ષી વેપારી એસોસિએશન, શેરી વિક્રેતાઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં દિવાળી તહેવારમાં ફટાકડાના વેચાણ બાબતે માર્ગદર્શન, સૂચનો તથા કેટલાક નિયમો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ફટાકડાનું વેચાણ કરનારા વેપારારીઓ પાસે ફરજીયાતલાયસન્સ હોવું જરૂરી છે, ફટાકડાની દુકાન ગ્રાઉન્ડ ફલોર પર જ હોવી જોઈએ, દુકાનમાં ઇલેક્ટ્રીક વાયરિંગ ઢીલુ કે અવ્યવસ્થિત હોવું જોઈએ નહીં, ફાયર સેફટીની પણ સુવિધાઓ હોવી જોઈએ, ફૂટપાથ પર કે વરસાદી પાણીના નિકાલની ગટર પર પણ ફટાકડાની દુકાન લગાવી શકાશે નહિ, કામચલાવ શેડ બનાવવા માટે આવશ્યક અનુમતિ સેલવાસ નગરપાલિકા, ગ્રામ પંચાયતમાં પાસેથી પ્રાપ્ત કરવાની રહેશે અને દિવાળી તહેવાર દરમ્યાન આતશબાજીના વેચાણ માટેની અસ્થાયી દુકાનોનું લાયસન્સ જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી મેળવવાનું રહેશે, ફટાકડા વેચનાર દરેક વિક્રેતાઓએ વિસ્ફોટક નિયમ-2008ની દરેક શરતોનું પાલન કરવાનું રહેશે. વગેરે બાબતે વિવિધ સૂચનો અને માર્ગદર્શન વેપારીઓ એસોસિએશનના સભ્યો, વેપારીઓ અને શેરી વિક્રેતાઓને આપવામાં આવ્યું હતું.
આ બેઠકમાં સેલવાસ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી સંગ્રામ શિંદે સહિત વેપારીઓ, શેર વિક્રેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.