(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05 : દિવાળીના તહેવાર નિમિત્તે દાદરા નગર હવેલીના રાજકીય અગ્રણી શ્રી કૌશિલ શાહ દ્વારા બજારમાં વેચાતી મિઠાઈઓ સહિતની વિવિધ ખાદ્ય સામગ્રીની ગુણવતા પ્રત્યે નિયમિત તપાસ કરવા જિલ્લા કલેક્ટર શ્રી પ્રિયાંક કિશોરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
દાનહના રાજકીય આગેવાન શ્રી કૌશિલ શાહે કલેક્ટરશ્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ હાલમાં એ પ્રત્યક્ષ જોવા મળી રહ્યુ છે કે સામાન્ય નાગરિકોમા આરોગ્ય સંલગ્ન વિવિધ પ્રકારની જીવલેણ બીમારીઓનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે, જેમાં ખાસ કરીને કેન્સર, ડાયાબીટીસ, હાર્ટએટેક, કીડની, લીવર અને ફેફસાં તથા આંતરડા સાથે જોડાયેલ બીમારીઓથી નાગરિકોના જીવ જવાના અને આજીવન બીમારીઓની ઝપેટમાં આવવાનું પ્રમાણ ઘણું છે, અને તેના કારણે લગભગ દરેક પરિવાર તણાવમાં જીવે છે તથા યુવા અને બાળકો પણ શારીરિક રૂપે કમજોર પડતા નજરે આવી રહ્યા છે.
અત્રે બજારમાં વેચાતી હલકી ગુણવતા અને ભેળસેળવાળી ખાદ્ય સામગ્રી જાનલેવા બીમારીના પાછળનું મોટું કારણ છે. ખાસ કરીને ભેળસેળવાળી ડેરી પ્રોડક્ટ, વધુપડતા મસાલાવાળા ખોરાક તથા કેમિકલ દ્વારા તાજા રાખવામાં આવતા ફળ, શાકભાજી વગેરે ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓની મોટી સંભાવના છે. આ વાત સામાન્ય છે કે દેશમાં જેટલુ દૂધ પશુધનથી પ્રતિદિન મળે છે એના કરતા પણ વધુ દરરોજ બજારમાં વેચાવા માટે આવે છે, જે ભેળસેળયુક્ત અને ગેરકાયદેસર પ્રક્રિયા વગર સંભવ નથી.
પશુધન દ્વારા મળતા દૂધની માત્રા તહેવારોના ટાણે ઓછું કે વધારે નહિ હોય શકે, પરંતુ તે જ તહેવારના દિવસોમાં ડેરી ઉત્પાદન ત્રણથી ચારગણું વધી જાય છે, તે કેવી રીતે થઈ શકે એની ગંભીર તપાસ થવી અતિ આવશ્યક છે.
દૂધ, પનીર, ચીઝ, બટર, ક્રીમ, માયોનીઝ જેવા ડેરી પ્રોડક્ટનો ઉપયોગ દરેક મીઠાઈ અને ખાન-પાનની દુકાનો, રેસ્ટોરન્ટ, કાફે અને લારીઓ પર બનતી વધુમાં વધુ ખાદ્ય સામગ્રીઓમાં થઈ રહ્યો છે જેની ગુણવત્તાની નિયમિત તપાસ અતિ આવશ્યક છે. મોટાભાગે બાળકો અને યુવાઓ આવી ખાદ્યસામગ્રીનું વધુ સેવન કરે છે. દેશ-પ્રદેશના આરોગ્ય ક્ષેત્રેના ભવિષ્યને સલામત રાખવાના હેતુથી પણ આ મુદ્દો ઘણો મહત્ત્વ છે. તેથી વાર-તહેવારો નિમિત્તે આચરાતી ભેળસેળ કે ડુપ્લીકેશન જેવી ગંભીર બાબતો અંગે શ્રી કૌશિલ શાહ દ્વારા દાનહના કલેક્ટર શ્રી પ્રિયાંક કિશોરને તાત્કાલિક ધોરણે અને નિયમિત તપાસ કરાવવાની અપેક્ષા સાથે અરજ કરી છે.