કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 30 હજાર ઈલેક્ટ્રીક વાહનો ઉત્પાદન કરવાની મંજૂરી અપાઈ,
યુરોપિયન યુનિયને પણ આપી મંજૂરી
‘‘લોકલ ફોર વોકલ” નહીં પરંતુ ‘‘લોકલ ફોર ગ્લોબલ”નું સૂત્ર ચરિતાર્થ કરવા પાલી
કરમબેલીમાં પ્લાન્ટ નંખાશે, વર્ષે 10 હજારથી 15 હજાર ઈ-વાહનોનું ઉત્પાદન થશે
વાપીમાં બનેલા ઈ-વાહનો થકી ‘‘મેક ઈન ઈન્ડિયા‘‘નાનારાની ગુંજ દેશના વિવિધ રાજ્યો
અને વિદેશમાં પણ પહોંચી
વર્ષ 2019માં વાપીના મિકેનીકલ એન્જિનિયરે ઓટોમોબાઈલ્સ ક્ષેત્રે નાના પાયે સ્ટાર્ટઅપ
શરૂ કરી હાલ વર્ષે રૂ.7 કરોડનું કરે છે ટર્ન ઓવર
શરૂઆતમાં બે ઈ-વાહનની મંજૂરી મળી, હવે સ્કૂટર, બાઈક, કાર અને કોમર્શીયલ
વ્હીકલની કેટેગરીમાં 12 મોડલના ઈ-વાહનોની મંજૂરી મળી
ગુજરાત સરકારના ‘‘વાઈબ્રન્ટ વલસાડ” કાર્યક્રમથી વાપીના ઈ-વાહન ઉદ્યોગને મળ્યો વેગ
ખાસ અહેવાલઃ જિજ્ઞેશ સોલંકી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.06: હવા અને અવાજના વધતા પ્રદૂષણને અટકાવી પર્યાવરણની જાળવણીમાં સૌથી શ્રેષ્ઠ ગણાતા ઈલેક્ટ્રીક વાહનો પ્રત્યે લોકોને પ્રોત્સાહિત કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અથાગ પ્રયાસ થઈ રહ્યા છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં સૌ પ્રથમ વલસાડ જિલ્લાની ઔદ્યોગિક નગરી વાપી ખાતે એક એન્જિનિયર યુવકે વર્ષ 2019માં ઓટોમોબાઈલ્સ ક્ષેત્રે સ્ટાર્ટઅપ શરૂ કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘‘ક્લિન ઈન્ડિયા, ગ્રીન ઈન્ડિયા”ના સ્વપ્નને સાકાર કરવા ઈલેક્ટ્રીક વાહનો મેન્યુફ્રેક્ચર કરવાનું શરૂ કર્યુ હતું. ચાર વર્ષના ટૂંકા ગાળા અને કોરોનાના કપરા માહોલમાં પણ હાર નહી માની ઈ-વાહનોનું ઉત્પાદન ચાલુ રાખી અત્યાર સુધીમાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના વિવિધરાજ્યો અને દેશની સરહદને પાર કરી આફ્રિકા દેશમાં પણ ‘‘મેક ઈન ઈન્ડિયા”નો નારો ગુંજતો કર્યો છે.
જર્મનીની કંપનીમાં મહિને રૂ.સાડા ત્રણ લાખના પગારની નોકરી છોડી વાપીના મિકેનીકલ એન્જિનિયર મનિષ વિજયભાઈ પાટીલે પર્યાવરણના જતન ક્ષેત્રે કામગીરીની શરૂઆત આમ તો વર્ષ 2015માં સોલાર અને પોલ્યુશન વગરના યંત્રો બનાવવાથી કરી હતી પરંતુ વર્ષ 2019માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘‘ક્લિન ઈન્ડિયા, ગ્રીન ઈન્ડિયા”ના મંત્રથી પ્રેરિત થઈ ઈ-વાહનનું ઉત્પાદન કરવા રૂ.50 લાખના મુડી રોકાણથી સ્ટાર્ટઅપની શરૂઆત કરી બલીઠામાં ઈલેક્ટ્રો ઈકો મોબિલિટી પ્રા.લિ. કંપનીની સ્થાપના કરી હતી. આજે વર્ષે 7 કરોડ રૂપિયાનું ટર્ન ઓવર કરવાની સાથે ઈલેક્ટ્રીકલ, મોડ્યુલર, એન્જિનિયર, વેલ્ડર, ફીટર અને એકાઉન્ટન્ટ સહિતની ડિગ્રી ધરાવતા 30થી વધુ યુવક-યુવતીઓને રોજગારી પણ આપી રહ્યા છે. તેમના સ્ટાર્ટઅપને બિરદાવી એન્જિનિયર એસોસિએશન ઓફ વાપી દ્વારા તા.10 એપ્રિલ 2023ના રોજ સન્માન પણ કર્યુ હતું.
ઉદ્યોગ સાહસિક મનિષ પાટીલે જણાવ્યું કે, ભાવિ પેઢીને પ્રદૂષણ મુક્ત વાતાવરણ મળે અને વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ તેમજ નોકરી – ધંધો કરતા લોકોના રોજ બરોજના જીવનમાં ઈ-વાહન ઉપયોગી થઈ શકે તે માટે કિફાયતી ભાવેલોકો ઈ-વાહન ખરીદી શકે તે દિશામાં પગલુ ભર્યુ હતું. જે માટે વિદેશોમાં જઈ ટ્રેનિંગ પણ લીધી હતી. આજે ભારતના વિવિધ રાજ્યોમાં 20 થી પણ વધુ આઉટલેટમાં ઈલેક્ટ્રો ઈકો ઈ-બાઈક્સનું વેચાણ થઈ રહ્યું છે. 5 હજારથી પણ વધુ સંતોષકારક ગ્રાહકોનો બહોળો વર્ગ ધરાવતા હોવાનો ગર્વ છે. શરૂઆતમાં બે મોડલના ઈ-વાહન લોન્ચ કર્યા હતા પરંતુ લોકોની માંગ વધતા ત્યારબાદ સ્કૂટર, બાઈક, કાર અને કોમર્શીયલ વ્હીકલ પીક અપની કેટેગરીમાં 12 મોડલના ઈ-વાહનોની મંજૂરી મેળવી તબક્કાવાર લોન્ચ કર્યા છે. કેન્દ્ર સરકારે 30 હજાર ઈ-વાહન ઉત્પાદન કરવાની પરવાનગી આપી છે. આ લક્ષ્યને વર્ષ 2024 સુધીમાં હાંસલ કરવા માટે ઉમરગામના પાલી કરમબેલીમાં ત્રણ થી પાંચ એકરની જમીન પર એક લાખ સ્કવેર ફૂટમાં પ્લાન્ટ નંખાશે, જ્યાં વર્ષે 10 હજાર થી 15 હજાર ઈ-વાહન મેન્યુફ્રેક્ચર કરાશે. 300 થી 400 લોકોને રોજગારી મળશે અને વર્ષે રૂ.600 કરોડનું ટર્ન ઓવર થવાનો અંદાજ છે.
જ્યાં બહારની વિદેશી કંપનીઓની ઈલેક્ટ્રીક કારની સરખામણીએ પાંચ સીટરની કાર પણ મેન્યુફ્રેક્ચર કરાશે. જોકે હાલમાં 3 સીટરની કાર લોન્ચ કરી દીધી છે.
‘‘લોકલ ફોર વોકલ” નહીં પરંતુ ‘‘લોકલ ફોર ગ્લોબલ”નું સૂત્ર ચરિતાર્થ કરવા માટે વાપીમાં બનેલા ઈ વાહનોયુરોપિયન દેશોમાં પણ એક્સપોર્ટ થાય તે માટે એપ્રુવલ મળી ગયું છે. જેથી ‘‘મેક ઈન ઈન્ડિયા”ની બ્રાન્ડ વિદેશોમાં પણ પહોંચશે. ઈ-વાહન ઓટોબાઈલ્સ ક્ષેત્રમાં ગુજરાત એક્સપોર્ટ હબ બનશે. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ વાપી ખાતે યોજાયેલા વાઈબ્રન્ટ વલસાડ થકી પણ આ ઉદ્યોગને બળ મળ્યુ છે. જે બદલ હું ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો પણ આભાર માનુ છું.
ઈ-વાહનના ઉપયોગથી પર્યાવરણના જતનની સાથે આર્થિક બચત પણ થાય છેઃ મનિષ પાટીલ
શરૂઆત મહિને 100 ઈ-વાહન બનાવવાથી કરી હતી હાલમાં મહિને 200 થી 300 વાહનો બનાવી રહ્યા છે. વર્ષે 3000 થી 4000 ઈ-વાહનો ઉત્પાદન થઈ રહ્યા છે. અત્યાર સુધીમાંથી 5000 થી 7000 ઈ-વાહન મેન્યુફ્રેક્ચર કર્યા છે. આ સિવાય ગુજરાત સરકારની રૂ.12 હજારની સબસિડી પણ 700 વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. 50 કિમીથી લઈને 200 કિમી સુધીના ઈ-વાહનો બનાવી રહ્યા છે. જેમાં સ્કુટર રૂ.70 હજારથી, બાઈક રૂ.દોઢ લાખ અને કાર રૂ.3 લાખ થી 5 લાખ સુધી મેન્યુફ્રેક્ચર થઈ રહી છે. પેટ્રોલ-ડિઝલ વાહનની સરખામણીએ ઈ-વાહન પર્યાવરણની તો જાળવણી કરે જ છે પરંતુ સાથે સાથે પેટ્રોલ-ડિઝલ પાછળ થતા ખર્ચની બચત પણ કરે છે. માત્ર દોઢ થી બે વર્ષમાં જ ઈ-વાહનના પૈસા વસૂલ થઈ જાયછે.