-
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં 8મી નવેમ્બર, 2020ના રોજ એક સાથે જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત તથા નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીના 11મી નવેમ્બર, 2020ના રોજ જાહેર થયેલા પરિણામો
-
પ્રશાસન દ્વારા પંચાયતી રાજ હસ્તકની કેટલીક સત્તાઓમાં ઉદારતા રાખવામાં આવે તો ગામડાની જરૂરિયાત ગામમાં જ પૂર્ણ થઈ શકે એ પ્રકારનું માળખું ઉભું કરવા હાલના બહુમતિ સરપંચો યોગ્ય નિર્ણય લઈ શકવા સક્ષમ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.10: આવતી કાલે દાદરા નગર હવેલી અને દમણ-દીવની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત તથા નગરપાલિકાની યોજાયેલ સામાન્ય ચૂંટણીના આવેલા પરિણામના ત્રણ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. સંઘપ્રદેશ પ્રશાસને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એકસાથે કરાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. જેમાં માત્ર દીવ નગરપાલિકાની ચંૂટણી એક સાથે યોજાઈ શકી નહીં હતી.
8મી નવેમ્બર, 2020ના રોજ યોજાયેલ દાદરા નગર હવેલી અને દમણ-દીવની જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત તથા નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ11મી નવેમ્બર, 2020ના રોજ જાહેર થયું હતું. 2020માં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં કેટલીક પંચાયતોના સરપંચોના ભ્રષ્ટાચારનો મુદ્દો ખુબ જ ગરમ રહ્યો હતો અને પરિણામમાં પણ નિર્ણાયક બન્યો હતો.
2020માં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીમાં પ્રદેશમાં થયેલા વિકાસકામોના કારણે ભાજપનું પલ્લુ ભારે રહેવા પામ્યું હતું. દમણ અને દીવમાં ભાજપ સિવાય અન્ય રાજકીય પક્ષોની સદંતર ગેરહાજરી હતી. કેટલાક ભાજપની ટિકિટ નહીં મળતાં અપક્ષ તરીકે પેનલ બનાવી દાવેદારી કરી હતી, જે પૈકીના બહુ ઓછાને સફળતા મળી હતી.
દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પહેલી વખત ગ્રામ પંચાયત સ્તરે શિક્ષિત નેતૃત્વને પ્રોત્સાહન મળ્યું હતું. ઘણી મહિલા સરપંચો પણ સ્નાતક અને અનુસ્નાતક સુધીનો અભ્યાસ પણ ધરાવતા હોવાનું જાણવા મળે છે. પ્રદેશમાં પહેલી વખત લોકોની ઈચ્છા પ્રમાણે થતા આયોજનને વેગ મળી રહ્યો છે. કેટલીક પ્રશાસનિક આંટીઘૂંટીઓ અને હસ્તાક્ષેપ હોવા છતાં એકંદરે ગ્રામ્ય સ્તરે વિકાસ ઝડપી બની રહ્યો છે. તેમાં જો પ્રશાસન દ્વારા પંચાયતી રાજ હસ્તકની કેટલીક સત્તાઓમાં ઉદારતા રાખવામાં આવે તો ગામડાની જરૂરિયાત ગામમાં જ પૂર્ણ થઈ શકે એ પ્રકારનું માળખું ઉભું થઈ શકે એમ છે. ભૂતકાળમાં કેટલાક સરપંચો અને જિલ્લા પંચાયતના સત્તાધિશોએ કરેલી ભૂલ અને આચરેલા ભ્રષ્ટાચારનો ભોગ વર્તમાન બોડી નહીં ભોગવે એ પ્રકારની વ્યવસ્થા હવે બાકી રહેલા બે વર્ષ માટે કરવામાં આવે એવી પણ માંગણી બુલંદ બની છે. ભૂતકાળમાં જેમણે પણ નીતિ-નિયમ વિરૂદ્ધ કામ કર્યુ હોય તેવા સરપંચ, જિલ્લા પંચાયત સભ્ય કે સરકારી અધિકારી સામે પગલાં લઈ દાખલો બેસાડવાનો સમય પણ પાકી ગયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.