-
કોઈનો વિરોધ નહીં, ખામી ઉપર પણ કોઈ ધ્યાન નહીં, માત્ર ચૂંટણી જીતવા ધ્યાન અને ધ્યેય રાખવા આપેલી પ્રભારીએ સમજણ
-
કેટલાક તત્ત્વો દ્વારા ફેલાવાતી અફવા અને દુષ્પ્રચારનો જડબાતોડ જવાબ આપવા પ્રદેશ ભાજપને ટકોર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.23 : નવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રભારી શ્રી પૂર્ણેશ મોદી અને સહ પ્રભારી શ્રી દુષ્યંત પટેલે આજે દમણ ખાતે વિવિધ પદાધિકારીઓ અને મંડળના કાર્યકરો સાથે બેઠક કરી આગામી લોકસભાની ચૂંટણી માટે તમામને તૈયાર કર્યા હતા.
પ્રદેશ ભાજપ પ્રભારી શ્રી પૂર્ણેશ મોદી અને સહ પ્રભારી શ્રી દુષ્યંત પટેલે બૂથ મજબૂત કરવા ઉપર જોર આપ્યું હતું. તેમણે તમામને એક અને નેક બની 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને જંગી બહુમતિથી વિજયી બનાવવા મંત્ર આપ્યો હતો.
પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીએ ખુબ જ સ્પષ્ટતાથી જણાવી દીધું હતું કે, તેઓ કોઈ મોટી મીટિંગ કરવાના નથી અને તેમનું ધ્યાન માત્ર અને માત્ર દાદરા નગર હવેલી અને દમણ-દીવની બંને બેઠકો ઉપર વિજય મેળવવા ઉપર છે. જે હોદ્દેદારો ફક્ત હોદ્દો શોભાવી રહ્યા છે અને પક્ષનું કામ નહીં કરતા તમામ હોદ્દેદારોને હટાવીતેમના સ્થાને નવા કાર્યકર્તાઓની નિયુક્તિ કરવા પણ સલાહ આપી હોવાનું વિશ્વાસપાત્ર સાધનોએ જણાવ્યું હતું.
દરમિયાન કેટલાક હોદ્દેદારોએ ટૂંકા સમયમાં સત્તાધારી ભાજપનો ઉપયોગ કરી એકત્ર કરેલ બેસૂમાર સંપત્તિની જાણકારી પણ પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારી સુધી પહોંચી ગઈ હોવાનું પણ સાધનો જણાવી રહ્યા છે. આવતા દિવસોમાં પક્ષને લોકાભિમુખ અને ગતિશીલ કરવા માટે રાષ્ટ્રીય ભાજપ હાઈકમાન્ડ સુધારાના કેટલાક પગલાંઓ પણ લઈ શકે એવી અટકળો પણ વહેતી થઈ છે.
અત્રે નોંધનીય છે કે, છેલ્લા નવ વર્ષમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવે દરેક ક્ષેત્રમાં ઐતિહાસિક વિકાસ કર્યો છે. તેમાં પણ છેલ્લા સાત વર્ષમાં એક સમૃદ્ધ પ્રદેશ કરતા પણ વધુ વિકાસના કામો ટચૂકડા કેન્દ્ર શાસિત પ્રદેશમાં થયા છે. છતાં પણ વિકાસનો શ્રેય લેવા ભાજપ સંગઠન અત્યાર સુધી નિષ્ફળ રહ્યું હોવાનું દેખાય છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીએ કેટલાક તત્ત્વો દ્વારા થતા દુષ્પ્રચારનો જડબેસલાક જવાબ આપવા પણ પ્રદેશના હોદ્દેદારોને કડક સૂચના આપી હોવાનું જાણવા મળે છે. કારણ કે, અત્યાર સુધી કેટલાક તત્ત્વો દ્વારા ફેલાવવામાં આવતી અફવા તથા દુષ્પ્રચારની સામે પ્રદેશ અને જિલ્લા ભાજપ પણ સમર્થનમાં હોય તે રીતે મૌન ધારણ કરતાહોવાનો સામાન્ય મત છે. તેથી પ્રદેશ પ્રભારીએ આપેલી સૂચના મુજબ હવે કેવી રણનીતિ અપનાવવામાં આવે તેના ઉપર તમામનું ધ્યાન કેન્દ્રિત છે.