(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27 : દાદરા નગર હવેલીમાં સમસ્ત પ્રજાપતિ સમાજના ‘શ્રી પ્રજાપતિ ઉત્કર્ષ મંડળ’ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજને આધુનિક સામાજિક વ્યવસ્થામાં પ્રગતિશીલ બનાવવા અને દેશના વિકાસમાં યોગદાન આપવાનો અને સમાજને સામુહિક રીતે એકત્રિત કરવાનો હતો.
આ સ્નેહ મિલન સમારંભમાં પ્રજાપતિ સમાજના વિવિધ કાર્યક્ષેત્રમાં કાર્યરત અગ્રણીઓને સામેલ થવા આમંત્રિત કરવામાં આવ્યા હતા. સાથે નવયુવાનો અને વિદ્યાર્થીઓ એમના ક્ષેત્રમાં કરેલા પ્રગતિશીલ કાર્યોને આવકારવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
શ્રી પ્રજાપતિ ઉત્કર્ષ મંડળની પુનઃરચનાના એક વર્ષ પૂર્ણ થયા બાદ આયોજીત કરવામાં આવેલ આ સ્નેહ સંમેલન સમારોહમાં સંગઠનના ઉદ્દેશીકા અને એમની પ્રગતિ તથા સમાજમાં અગ્રણી ભૂમિકા ભજવનાર લોકોને અને શ્રેષ્ઠ સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. સાથે મંડળનો વાર્ષિક અહેવાલ પણ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમાજના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરી હતી. આ અવસરે મંડળના પ્રમુખ શ્રી હિતેન્દ્ર લાડ, ઉપ પ્રમુખ શ્રી દિલીપ પ્રજાપતિ, મંત્રી શ્રી પ્રિતેશ પ્રજાપતિ,સહમંત્રી શ્રી ઉમેશ લાડ, કોષાધ્યક્ષ શ્રી મુકેશ પ્રજાપતિ, શ્રી વિપુલ પ્રજાપતિ, શ્રી ચેતન પ્રજાપતિ અને શ્રી મનુભાઈ લાડ સહિત મંડળના સભ્યો અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.