(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.04: પીપલગભણના વિવિધ ફળીયામાં પાણી પુરવઠાની ઓવરહેડ ટાંકીવાળી છ યોજના અને નલ સે જલ વાળી વાસ્મોની ત્રણ યોજના લાંબા સમયથી બંધ હાલતમાં જોવા મળી રહી છે. ગામમાં ટાંકીઓ શોભાના ગાંઠિયા સમાન બનવા સાથે સરકારના લાખ્ખો રૂપિયાના આંધણ બાદ પણ લોકોને ઘરે પાણી મળતું નથી. અને ખાનગી વ્યવસ્થા પર જ નિર્ભર રહેવું પડે છે.
પીપલગભણના આગેવાન દ્વારા ઉચ્ચકક્ષાએ અવાર નવારની લેખિત રજૂઆત બાદ પણ બંધ પાણી પુરવઠાની યોજનાઓ ચાલુ થઈ નથી.
પીપલગભણ ગામના મોટી કોળીવાડ ફળીયામાં બે જેટલી ટાંકીઓ બંધ હાલતમાં છે. આ બંને યોજના માટે બોર, પાઈપ લાઈન પણ થઈ છે. પરંતુ લાંબા સમયથી યોજના બંધ હોવાથી અંદાજે 45 થી 50 ઘરના લોકોને પાણી મળતું નથી.
મોટી કોળીવાડમાં નલ સે જલ અંતર્ગત વાસ્મોની યોજનામાં પણ બોરવેલ, પાઈપ લાઈન અને ઘરે ઘર જોડાણ આપવામાં આવેલ છે. પરંતુ તેમાં પણ પાણી આવતું નથી. વાસ્મોની આ યોજના પણ બંધ હાલતમાં છે.
પીપલગભણ ગામના ગાંધી ફળીયામાં સ્થળ પરની સ્થિતિ ચોંકાવનારી જોવા મળી રહીછે. ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો કહેવો કે પછી ભ્રષ્ટ તંત્ર સામે લોકોની લાચારી આ ફળીયામાં વાસ્મો અને ઓવરહેડ ટાંકી વાળી બે યોજનાના જોડાણ ઘરે ઘર આપવામાં આવ્યા છે. લોકોના ઘરના આંગણામાં બે-બે જોડાણ છે. પરંતુ એક મા પણ પાણી આવતું નથી. પાણી પુરવઠા અને વાસ્મોની બંને યોજના બંધ હાલતમાં ધૂળ ખાઈ રહી છે. વાસ્મોની યોજનાનું તો કેબીન કે વીજ મીટરનું પણ અસ્તિત્વ જોવા મળતું નથી. ગાંધી ફળીયામાં બીજી પણ વાસ્મોની યોજના છે. તેમાં બોરવેલ પાસે પાણી નીકળે છે. પરંતુ જોડાણના અભાવે કે કોઈ અન્ય કારણોસર લોકોના ઘરે નળમાં પાણી પહોંચતું જ નથી જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
પીપલગભણના ગણેશપુરી મહોલ્લામાં 15,000 લીટર ક્ષમતા વાળી પાણી પુરવઠાની ટાંકી સાથેની યોજનાનું આઠેક વર્ષ પૂર્વે નિર્માણ કરાયું હતું પરંતુ આ યોજના પણ ઘણા વર્ષથી બંધ હાલતમાં છે અને આ ફળિયાના લોકો આજે પણ ખાનગી વ્યવસ્થા પર નિર્ભર છે આ ઉપરાંત ગોડાઉન ફળિયામાં વર્ષો પૂર્વે નિર્માણ કરાયેલ વિશાળ ટાંકી પણ ખંડેર થવા જઈ રહી છે જોકે અહીં પાણી પુરવઠાની એક બીજી યોજના છે તેમાંથી કેટલાક ઘરોને પાણી મળે છે પરંતુ તે પણ હાલે 15 એક દિવસથી બંધ છે.ખૂટીયાઆંબા ફળિયામાં ઓવર હેડ ટાંકી વાળી યોજના બંધ છે વાસ્મોની યોજના થકી કેટલાક ઘરોને પાણી મળે છે પરંતુ આ ફળિયામાં પણ ટાંકી બંધ હાલતમાં હોવાથી લોકોને પૂરતા પ્રમાણમાં પાણીની વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે.
પીપલગભણ ગામના પાણી પુરવઠાની બંધ યોજનાઓ ચાલુ કરાવવા ગામના અગ્રણી મોહનભાઈ છોટુભાઈ પટેલ દ્વારા પીએમઓ, સીએમ, પાણી પુરવઠા મંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ અવાર-નવારની રજૂઆતમાં માત્ર તેમને જવાબ મળ્યો છે. પરંતુ સ્થળ પર કોઈ કામગીરી થઈ નથી. અને સંખ્યાબંધ પૈકી એક પણ યોજના ચાલુ થઈ નથી ત્યારે પાણી પુરવઠા અને વાસ્મોના ભ્રષ્ટાચાર યુક્ત અણધડ કારભારમાં લાખો રૂપિયાનો ખર્ચ બાદ પણ લોકોને પાણી મળતું નથી.
વાસ્મોના ઈજનેર મધુબેનના જણાવ્યાનુસાર પીપલગભણ મોટી કોળીવાડમાં બોરમાં પાણી ઓછું છે. નવા બોર માટે એજન્સીને સૂચના આપી છે. ગાંધી ફળીયામાં વાસ્મોની બંને યોજના અમે ચાલુ કરાવી હતી. મારી પાસે ફોટોગ્રાફસ પણ છે.
પાણી પુરવઠા યોજનાના કાર્યપાલક ઈજનેર આશાબેનના જણાવ્યાનુસાર પીપલગભણ ગામમાં બંધ પડેલ યોજનાઓ અંગે જરૂરી તપાસ કરાવી યોજનાઓ ચાલુ થાય તે દિશામાં કામગીરી કરવામાંઆવશે.