રજૂઆતને પગલે બ્લોક હેલ્થ ઓફિસરે આરોગ્ય કેન્દ્રના તબીબી સ્ટાફને પાઠવેલી કારણદર્શક નોટિસ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.10: ઉમરગામ તાલુકાનુ દેહરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલ રામ ભરોસે ચાલી રહ્યું છે. ડોક્ટર સહીત સ્ટાફ ગમે ત્યારે આવે અને ગમે ત્યારે ચાલતી પકડતા હોવાની ફરીયાદો ઉઠી છે. તાજેતરમાં વોર્ડ બોયના ભરોસે હોસ્પિટલ ખુલ્લી મૂકી આખો સ્ટાફ લગ્નમાં ઉપડી ગયો હોવાનું કહેવાય છે.
ગુરુવારે બપોરે 3:30 વાગ્યાના સુમારે એક દર્દી હાથમાં લોહી નીકળતી હાલતમાં ઉમરગામ તાલુકાના દેહરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે પહોંચ્યો હતો. જો કે આ હોસ્પિટલનો સ્ટાફ હાજર ન હતો, આખી હોસ્પિટલમાં એકમાત્ર વોર્ડ બોય ઘવલભાઈ હાજર હોય તેને પાટાપીંડી કરી આ દર્દીને મોકલી આપ્યો હતો. દર્દી સાથે આવેલ ગામના રાજુભાઈએ આ અંગે સંરપંચ ઘનેશભાઈ, તથા ઉપસરપંચ ઉમેશભાઈ સોલંકીને વાત કરી હતી કેહોસ્પિટલમાં ડોક્ટર નથી, નર્સ કે કોઈ સ્ટાફ જોવા મળતો નથી.
ઉમરગામનુ દેહરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જાણે રામ ભરોસે હોય તેમ વોર્ડ બોયના ભરોસે હોસ્પિટલ ખુલ્લી મૂકી આખે આખો સ્ટાફ લગ્નમાં ઉપડી ગયો હોવાની અને આ અંગે ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચે તાલુકા બ્લોક હેલ્થ ઓફિસરને દર્દીઓને પડી રહેલી હાલાકી બાબતે ફરિયાદ કરતા હોસ્પિટલ ઉપર ગેરહાજર રહેનાર મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ, સ્ટાફ નર્સ સહિત કર્મચારીઓને કારણ દર્શક નોટિસ ફટકારતા ગુલ્લી મારતા કર્મચારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
સ્ટાફ ગેરહાજર હોય દર્દીઓને પડી રહેલી મુશ્કેલી અંગે ગ્રામ પંચાયતના ઉપસરપંચ ઉમેશ સોલંકીએ આ બાબતે તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડોક્ટર ગોહિલને તુરંત જ ફરિયાદ કરી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને પણ ફોન કર્યો હતો પરંતુ તેમનો ફોન સતત વ્યસ્ત આવતા વાત થઈ શકી ન હતી. આખરે આ સમગ્ર બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ ઉમરગામ તાલુકા બ્લોક હેલ્થ ઓફિસરે હોસ્પિટલમાં ગેરહાજર રહેનાર આયુષ મેડિકલ ઓફિસર ડોક્ટર તન્વી ઠાકોર, ફાર્માસિસ્ટ પ્રિયંકા પટેલ, સ્ટાફ નર્સ કરિશ્મા પટેલ અને એલટી રાગીનીબેન પટેલ વિગેરેને કારણ દર્શક નોટિસ ફટકારી ગંભીર બેદરકારી દાખવી ગેરહાજર રહેવા બદલ બે દિવસમાં રૂબરૂ હાજર રહીખુલાશો કરવા જણાવ્યું છે અને યોગ્ય ખુલાસો નહીં કરશો તો શિક્ષણાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે. નોટિસ આપ્યાની જાણ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી વલસાડને પણ કરવામાં આવી છે.
સરકારી હોસ્પિટલોમાં ડોક્ટર સ્ટાફ મોટાભાગે બપોર પછી નીકળી જાય છે, ઘણા તો ચાર વાગ્યા પછી મળતા જ નથી. આના કારણે દર્દીઓને ખૂબ જ હાલાકી વેઠવી પડે છે અને ન છૂટકે ગરીબ દર્દીઓને પૈસા ખર્ચીને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા જવું પડે છે. સરકાર આરોગ્યની સુવિધા પાછળ લાખો કરોડો રૂપિયા ખર્ચે છે, મસ મોટો પગાર કર્મચારીઓને ચૂકવે છે તેમ છતાં ઉમરગામ તાલુકામાં મોટાભાગની સરકારી હોસ્પિટલ સબ સેન્ટર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલમાં કામ કરતા મોટાભાગના કર્મચારીઓ અધિકારીઓ બપોર પછી ચાર વાગ્યાની ટ્રેનમાં પોતાના ઘરે રવાના થઈ જતા હોવાની ફરીયાદો ઉઠી છે. આ બાબતે યોગ્ય તપાસ કરી કાર્યવાહી થવી જરૂરી છે. જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર આ બાબતે ગંભીરતા દાખવે તે જરૂરી છે. આરોગ્ય જેવી બાબતે સરકાર ખૂબ જ ગંભીર છે. ગતિશીલ ગુજરાતમાં આરોગ્ય વિભાગની બેદરકારીને નજર અંદાજ ન કરી શકાય. દાખલારૂપ કાર્યવાહી ખૂબ જ જરૂરી જણાયછે.