સંઘપ્રદેશ ભાજપના સહ પ્રભારી દુષ્યંતભાઈ પટેલ તથા પ્રદેશ ભાજપ પ્રમુખ દિપેશભાઈ ટંડેલની પણ રહેલી ઉપસ્થિતિ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.26: 26મી ડિસેમ્બરના દિવસને ભારતભરમાં વિર બાળ દિન તરીકે ઉજવવામાં આવે છે. તે ઉપલક્ષમાં આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપનાપ્રભારી શ્રી પૂર્ણેશભાઈ મોદી વાપી ગુરુદ્વારામાં પધાર્યા હતા. ગુરુદ્વારામાં માથુ ટેકવી તેમણે શહાદતને યાદ કરી હતી અને શત-શત નમન કર્યા હતા.
વાપી ગુરુદ્વારામાં શહાદત નિમિત્તે શ્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે, 1704માં ડિસેમ્બર મહિનામાં ગુરુ ગોવિંદ સિંહના બે પૂત્રો ચમકોર યુધ્ધમાં શહિદ થયા હતા. પરંતુ નાના બે પૂત્ર સાત અને નવ વર્ષના હતા તેમને મોગલો દ્વારા જુલમ કરીને પકડી લીધા હતા. ઈસ્લામ કબુલી લો નહીંતર જીવન બક્ષી દો તેવી શરત મુકી હતી પરંતુ તેમણે મોગલોની શરત નહીં સ્વિકારી દિવાલમાં ચણાઈ જવાનું પસંદ કર્યું હતું તેથી એ શહાદતને શ્રી પૂર્ણેશભાઈ મોદીએ શત શત નમન કર્યા હતા. આ પ્રસંગે દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપના સહ પ્રભારી શ્રી દુષ્યંતભાઈ પટેલ, દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી દિપેશભાઈ ટંડેલ, વાપી નગર પાલિકા કારોબારી ચેરમેન સહિત વાપી-દમણ-સેલવાસના ભાજપ અગ્રણી સાથે ગુરુદ્વારા કમિટી મેમ્બર ઉપસ્થિત રહ્યા હતા.