(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27 : કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ વન વિભાગ અને કૃષિ વિભાગના સહયોગથી પ્રદેશના ખેડૂતોને ‘વર્મીકમ્પોસ્ટ ખાતર’ અને ‘જીવામૃત’ બનાવવા માટેની તાલીમ અને તેના વપરાશના ફાયદા અંગે વિભાગીય અધિકારીઓ દ્વારા વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ દાદરા નગર હવેલીના સાયલી, ગલોન્ડા અને કિલવણી પંચાયતના ખેડૂતોને ફલાંડી નર્સરી કેન્દ્ર ખાતે અને રુદાના, ખાનવેલ તથા ખેરડી પંચાયતના ખેડૂતોને રુદાના ફોરેસ્ટ નર્સરી કેન્દ્ર ઉપર ‘વર્મીકમ્પોસ્ટ ખાતર’ અને ‘જીવામૃત’ બનાવવા માટેની તાલીમ અને તેના વપરાશના ફાયદાની વિગતવાર માહિતી વન વિભાગતથા કૃષિ વિભાગના ઉપસ્થિત અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી.
અત્રે યાદ રહે કે, દેશમાં જૈવિક ખેતીને પ્રોત્સાહન મળે એ માટે કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પગલાં ભરવામાં આવી રહ્યા છે. જેમાં ખેડૂતો રાસાયણિક ખાતરોનો ઉપયોગ ધીરે ધીરે ઘટાડતા જાય અને તેઓ જૈવિક ખેતી તરફ વળે એ એનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આજે ફલાંડી અને રૂદાના નર્સરી કેન્દ્ર ખાતે ‘જીવામૃત’ કેવી રીતે બનાવી શકાય તેની પ્રક્રિયા સ્થાનિક ખેડૂતોને બતાવવામાં આવી હતી.
જીવામૃત બનાવવાની પ્રક્રિયાઃ 5 લીટર દેશી ગાયનું ગોમૂત્ર, 10કિલો દેશી ગાયનું છાણ, એક ખોબો સેઢાની અથવા ઝાડ નીચેની માટી, એક કિલો દેશી ગોળ(દવા વગરનો), ચણા, મગ અથવા અડદનો એક કિલો લોટ, 200 લીટર પાણી.
આ તમામ સામગ્રીનું મિશ્રણ તૈયાર કરવા તેને 200 લીટર પાણીમાં ભેળવી દેવું, ત્યાર બાદ આ મિશ્રણને કંતાન(શણના કોથળા)થી ઢાંકી દેવું. બાદમાં ત્રણ દિવસ સવાર સાંજ પાંચ મિનિટ સુધી આ મિશ્રણને હલાવવું. આ મિશ્રણ ઉનાળામાં ત્રણ દિવસ લાગશે અને શિયાળામાં એક અઠવાડીયામાં તૈયાર થશે. આ જીવામૃત તૈયાર થયા પછી પંદર દિવસ ઉપયોગ કરી શકાશે. આ જીવામૃતને ગાળીને એક એકર જમીનમાં પિયતના પાણી સાથે અથવા ઉભા પાકમા છંટકાવ કરી શકાય છે.
આયોજીત તાલીમ શિબિર દરમિયાનનવસારી કૃષિ યુનિવર્સિટીના સંશોધન વૈજ્ઞાનિક અને યુનિટ હેડ ડૉ. નવીન બી. પટેલે રાસાયણિક ખાતરના વપરાશથી નુકસાન અને જૈવિક ખેતીના ફાયદા અંગે ઉપસ્થિત ખેડૂતોને સમજ આપી હતી. આ અવસરે સંઘપ્રદેશ ખેતીવાડી વિભાગના અધિકારી શ્રી સુરેશભાઈ ભોયા, વન વિભાગના ડી.સી.એફ., એ.સી.એફ. તથા વન વિભાગના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.