(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27: ભારત સરકારના યુવા અને રમતગમત મંત્રાલય હેઠળ ‘રાષ્ટ્રીય સેવા યોજના'(NSS) નિયામકની કચેરી દ્વારા 1 થી 31મી જાન્યુઆરી, 2024 દરમ્યાન ‘રાષ્ટ્રીય સેવા યોજના પરેડ-2024’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાંથી સરકારી કોલેજ દીવની વિદ્યાર્થીની કુમારી ધ્રુવીકા પી. બારીયા અને સેલવાસની શ્રી વિનોબા ભાવે નર્સિંગ કોલેજની વિદ્યાર્થીની કુમારી ગોરાટ તૃપ્તિ ચૈત્યાભાઈની પસંદગી કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ કેન્દ્ર સરકારે વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે કે, નવી દિલ્હી ખાતેના કર્તવ્ય પથ પર આગામી 26મી જાન્યુઆરી, 2024ના રોજ ‘પ્રજાસતાક પર્વ’ નિમિત્તે માર્ચપાસ્ટ પરેડ’માં ફક્ત મહિલાઓની ઝાંખીઓ અને પ્રદર્શનિક કૃતિઓને સામેલ કરવામાં આવશે. તેથી ‘રાષ્ટ્રીય સેવા યોજના(એન.એસ.એસ.)’ની યોજાનારી પરેડ માટે દેશભરમાંથી પસંદગી પામેલ ‘રાષ્ટ્રીય સેવા યોજના (એન.એસ.એસ.)’ના વિદ્યાર્થીની સ્વયંસેવકો ભાગ લઈ રહી છે. જેમાં સરકારીકોલેજ દીવની વિદ્યાર્થીની કુ. ધ્રુવીકા પી. બારીયા અને સેલવાસની શ્રી વિનોબા ભાવે નર્સિંગ કોલેજની વિદ્યાર્થીની કુ. ગોરાટ તૃપ્તિ ચૈત્યાભાઈની પસંદગી થતાં તેઓ દિલ્હી ખાતે ‘કર્તવ્ય પથ’ પર યોજાનારી પરેડમાં ભાગ લેશે.
આ અંતર્ગત પરેડ સિવાય દરરોજ શૈક્ષણિક સત્રોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સત્રમાં ચોક્કસ ક્ષેત્રોની રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત હસ્તીઓ દ્વારા વ્યાખ્યાનોનું આયોજન કરવામાં આવે છે તથા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવે છે.
અત્રે યાદ રહે કે, દીવની સરકારી કોલેજની વિદ્યાર્થીની કુમારી સિદ્ધિ બારિયાએ વર્ષ 2022માં નવી દિલ્હીમાં આયોજીત ‘રાષ્ટ્રીય સેવા યોજના પરેડ-2022’માં પણ ભાગ લીધો હતો અને રાજપથ પર એન.એસ.એસ.ની ટુકડીનું નેતૃત્વ કરીને તે સમયના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી રામ નાથ કોવિંદને સલામી આપી હતી. જે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે ગૌરવની બાબત બની હતી અને હવે ફરી આગામી 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે યોજાનારી પરેડમાં દીવની વિદ્યાર્થીની કુમારી સિદ્ધિ બારિયા અને સેલવાસની નર્સિંગ કોલેજની વિદ્યાર્થીની કુમારી ગોરાટ તૃપ્તિ ચૈત્યાભાઈ ભાગ લઈને પ્રદેશનું ગૌરવ વધારી રહી છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીઅને દમણ-દીવની બન્ને વિદ્યાર્થીનીઓએ નવેમ્બર-2023માં આંધ્ર પ્રદેશના વિજયવાડામાં પヘમિ ભારતના રાજ્યો માટે આયોજીત પ્રી આર.ડી. કેમ્પમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે.
બન્ને પસંદ પામેલ સ્વયંસેવક વિદ્યાર્થીનીઓને દાનહ અને દમણ-દીવના શિક્ષણ સચિવ ડૉ. અરુણ ટી. અને શિક્ષણ નિયામક શ્રી જતીન ગોયલ તથા રાજ્ય રાષ્ટ્રીય સેવા યોજના અધિકારી શ્રી ગૌરાંગ વોરાએ શુભેચ્છા પાઠવી હતી.