(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : દાદરા નગર હવેલીના સેલવાસ-નરોલી રોડના દમણગંગા નદીના બ્રિજ ઉપરથી ગઈરાતે એક ઈસમે કોઈક કારણોસર નદીમાં ઝંપલાવી દીધું હતું. ફાયર વિભાગની ટીમે એક કલાકની ભારે જહેમત બાદ ઈસમની લાશને બહાર કાઢી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર મહેન્દ્ર સુદામ પાટીલ (ઉ.વ.48) રહેવાસી શુભમ એપાર્ટમેન્ટ સેલવાસ, અને મૂળ રહેવાસી શહાદા- મહારાષ્ટ્ર. જેઓ રાત્રિના દસ વાગ્યાના સુમારે દમણગંગા નદીના બ્રિજ ઉપર પહોંચી ગયા હતા અને નદીમાં ઝંપલાવી દીધું હતું. જમેને ત્યાંથી પસાર થતા વાહનચાલકે જોઈ લેતાં તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગનાજવાનોએ દમણગંગા નદીના તટમાં મહેન્દ્ર પાટીલને શોધવાનો પ્રયાસ કર્યો હતો. એકથી દોઢ કલાકની ભારે જહેમત બાદ મહેન્દ્રની લાશ મળી આવી હતી.
પોલીસે લાશનો કબ્જો લઈ પોસ્ટમોર્ટ (પી.એમ.) માટે સેલવાસની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. મહેન્દ્ર પાટીલે કયા કારણોસર આત્મહત્યા કરી એ જાણી શકાયુ નથી. વધુ તપાસ સેલવાસ પોલીસે હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ દમણગંગા નદીનો પુલ સુસાઇડ પોઈન્ટ બની ગયો છે. પ્રદેશની વિવિધ સંસ્થાઓ દ્વારા વારંવાર આ પુલની બન્ને સાઈડ પર લોખંડની જાળી લગાવવા માટે વહીવટીતંત્રને રજૂઆતો કરવામાં આવી ચુકી છે. પરંતુ તંત્ર જાણે નિંદ્રામાં હોય એમ આંખ આડા કાન જ કરી રહ્યું હોવાની પ્રતિતિ થાય છે. આ દમણગંગા નદીના પુલ ઉપરથી કેટલાય યુવક-યુવતિઓ આત્મહત્યા કરી ચુક્યા છે, તેથી લોકોની માંગણીને અનુસરીને તંત્ર દ્વારા સુરક્ષાના પગલાં હેતુ પુલની બંને બાજુ જાળી લગાવવામાં આવે એ જરૂરી છે.
Previous post