(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18 : દાદરા નગર હવેલીના રખોલી ગામે દમણગંગા નદીના બ્રિજ પરથી બપોરના સમયે અચાનક એક અજાણ્યા યુવાને નદીના પટમાં ઝંપલાવી દીધું હતું, જેના કારણે એનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર રખોલી ગામેદમણગંગા નદીના બ્રિજ પર બપોરના સમયે અચાનક એક યુવાન આવી કોઈને કંઈપણ સમજ પડે તે પહેલાં જ નદીમાં ઝંપલાવી દીધું હતું. આ ઘટનાને જોઈ સ્થાનિકો તેમજ ત્યાંથી પસાર થતા વાહનચાલકોએ પોલીસ વિભાગને ફોન કરતાં પોલીસકર્મીઓની ટીમ અને ઈમરજન્સી એમ્બ્યુલન્સ 108ની ટીમ આવી પહોંચી હતી. બ્રિજ નીચે જ્યાં યુવાન પટકાયો હતો એ જોતાં યુવાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી જેના કારણે એનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. પોલીસની ટીમે આજુબાજુમાં તપાસ કરી હતી, પરંતુ મૃતક યુવાન અંગે કોઈપણ જાણકારી મળેલ નહિ. પોલીસે યુવાનની લાશનો કબ્જો લઈ સેલવાસની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
અત્રે નોંધનીય છે કે, એક મહિનામાં આ બ્રિજ પરથી બે યુવાનોએ ઝંપલાવી આત્મહત્યા કરી છે.
એક તરફ ભારત સરકાર દ્વારા યુવાનોમાં જે રીતે આત્મહત્યાની ઘટનાઓ બની રહી છે એના માટે યુવાઓમાં જાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એજ રીતે દાદરા નગર હવેલીમાં પણ પ્રશાસન દ્વારા સામાજીક સંસ્થાઓના સહયોગ દ્વારા સ્પેશિયલ ઝુંબેશ ચલાવવામાં આવે એ જરૂરી છે. દાનહમાં વધુ પડતા યુવક-યુવતીઓ ગળે ફાંસો લગાવી, ઝેર ગટગટાવીને કે પછી બ્રિજો ઉપરથી કૂદકા મારી જીવન ટુંકાવી રહ્યા છે. તેથીયુવાઓને આત્મહત્યાથી રોકવા માટે પ્રશાસન ખાસ ઝુંબેશ ચલાવે એ જરૂરી હોવાનું દેખાઈ રહ્યું છે.