-
મોદી સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસનની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓ સાથે વધુમાં વધુ લાભાર્થી જોડાઈ તે માટે પૂર્વ સાંસદ ગોપાલ દાદાએ શરૂ કરેલા સ્વયંભૂ પ્રયાસો
-
સંઘપ્રદેશ પ્રશાસનની મહત્ત્વાકાંક્ષી ગીર ગાય યોજના સાથે સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનોને સહકારની ભાવના સાથે જોડવા પણ પ્રેરિત કરવાનો પ્રયાસ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.23 : નેતા કેવા હોવા જોઈએ અને નેતા કોને કહી શકાય તે વાતની પ્રતિતિ દમણ અને દીવના પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા)એ પ્રદેશમાં આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ આપવા શરૂ કરેલા પ્રયાસથી થાય છે.
પૂર્વ સાંસદ શ્રી ગોપાલ દાદાએ સંઘપ્રદેશ પ્રશાસનની મહત્વાકાંક્ષી ‘ગીર ગાય યોજના’નો વધુમાં વધુ લાભ મળે તે હેતુથી દમણ જિલ્લાની સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો સાથે મીટિંગો ગોઠવી તેનો પ્રચાર-પ્રસાર કરવાની સાથે આ યોજનાનો લાભ લેવા પ્રોત્સાહિત પણ કરી રહ્યા છે. જેની કડીમાં શ્રી ગોપાલ દાદાએ બહેનોને દમણવાડાના ઢોલર ખાતે આવેલ ગીર ગાયના મુરલીધર ફાર્મ ખાતે બહેનોની મુલાકાત કરાવી પ્રત્યક્ષ નિદર્શન પણ કરાવ્યું હતું.
પૂર્વસાંસદ શ્રી ગોપાલભાઈ કે. ટંડેલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની અને સંઘપ્રદેશ પ્રશાસનની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓ સાથે જોડાયેલા લાભાર્થીઓ સાથે પણ વાતચીતનો દૌર શરૂ કર્યો છે. જેના પરિણામે જિલ્લાના સેંકડો લાભાર્થીઓ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની યોજનાથી માહિતગાર પણ થઈ રહ્યા છે.
દમણ-દીવના પૂર્વ સાંસદ શ્રી ગોપાલ દાદાએ સ્વયંભૂ શરૂ કરેલ પહેલનું અનુકરણ પ્રદેશના તમામ ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ અને રાજનીતિમાં સક્રિય રહેલા પૂર્વ સરપંચો, જિલ્લા પંચાયતના સભ્યો તથા વિવિધ સમિતિના હોદ્દેદારોએ પણ કરવું જોઈએ અને ફરી એકવાર મોદી સરકારના ગઠન માટે પોતાના તમામ શ્રેષ્ઠ પ્રયાસો કરવા જોઈએ એવી લાગણી મજબૂત બની છે.