(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.31: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં કંપનીઓમાં કામ કરતા કામદારોની સમસ્યાઓમાં રોજ-બરોજ વધારો થઈ રહ્યો છે. પ્રશાસન દ્વારા જ્યારથી લઘુતમ વેતન દરોની માહિતી બહાર પાડી છે ત્યારથી પ્રદેશની અલગ અલગ કંપનીના કામદારો પગાર વધારાના મુદ્દે હડતાલપર ઉતરી રહ્યા છે. જેમાં રખોલી ખાતેની ભીલોસા ઇન્ડસ્ટ્રીઝના કામદારો પણ હડતાલ પર ઉતર્યા હતા. જેના કારણે 26 જેટલા કામદારોને લેબર કોન્ટ્રાક્ટર દ્વારા કાઢી નોકરમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. કોન્ટ્રાક્ટર દ્વારા નોકરીમાંથી કાઢી મુકવામાં આવેલા કામદારોને આજે તેમની સમસ્યાનો હલ કરવા સંઘપ્રદેશ ભાજપના પ્રદેશ કાર્યાલય ‘અટલ ભવન’ સેલવાસ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓ પ્રદેશ મહામંત્રી શ્રી સુનિલ પાટીલને મળ્યા હતા અને તેમના પ્રશ્નોની રજૂઆત કરી હતી. રજુઆતમાં કામદારોએ તેમને નોકરી પર પરત લેવા શ્રી સુનિલ પાટીલને ભલામણ કરવા માંગ કરી હતી. આ સંદર્ભે પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી સુનિલ પાટીલે પણ લેબર ઓફિસર સાથે વાતચીત કરી હતી અને તાત્કાલિક સમાધાન લાવવા માટે આગ્રહ કર્યો હતો.