ધરમપુરના મજુર વિપુલ જયેશ દડવી ચોરી કરતા સી.સી.ટી.વી.માં દેખાતા ફરિયાદ નોંધાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.14: વલસાડ નજીક આવેલ જાણીતા યાત્રાધામ પારનેરા ડુંગર ઉપર આવેલ રામેશ્વર મહાદેવ મંદિરમાં મંગળવારની રાતે દાનપેટીમાંથી રોકડા રૂપિયાની ચોરી થતા વલસાડ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
વલસાડ પારનેરાડુંગર ઉપર રામેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. મંદિરના પૂજારી રાતે મંદિરની દાનપેટીમાં એલ્યુમિનિયમના ડબ્બામાં 2500 રૂપિયા રોકડા રાખીને ઘરે ગયા હતા. સવારે પૂજારી કૌશિકભાઈ ધીરૂભાઈ પટેલ મંદિરમાં આરતી પૂજા કરવા આવેલા ત્યારે દરવાજાનું તાળુ તૂટેલું જોયેલું તેમજ ઉપરનું પતરું પણ તુટેલું જોયું. દાનપેટીમાં તપાસ કરી તો રાતે રાખેલ રૂપિયા ચોરી થઈ ગયેલા જણાયા હતા તેથી પૂજારીએ સી.સી.ટી.વી. ફૂટેજ ચેક કર્યા તો મંદિરમાં રિપેરીંગ મજુરી કામે આવતા મજુર વિપુલ જયેશ દડવી મંદિરમાં ચોરી કરતો જણાયો હતો. તેથી પૂજારી કૌશિકભાઈ પટેલએ રૂરલ પોલીસમાં ધરમપુર રહેતા મજુર વિપુલ જયેશ દડવી વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.