દમણ મામલતદારે જમીનના અલવારા, ટેરેમ ધારક, ભાડૂત તથા અન્ય વ્યક્તિને પોતાના જમીનના હક્ક/હિત દર્શાવવા બહાર પાડેલી નોટિસ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.22 : દાદરા નગર હવેલી જમીન સુધારણા નિયમન-1971(જે દમણ અને દીવ સુધી વિસ્તરેલ છે) તા.18મી જાન્યુઆરી, 2022થી અમલમાં આવ્યો છે. આ જાહેર નોટિસ દ્વારા દરેક અલવારા ધારક, ટેરેમ ધારક, ભાડૂત તથા અન્ય વ્યક્તિને નિયત સત્તાધિકારી અને દમણ મામલતદાર શ્રી પ્રેમજીભાઈ મકવાણાએ જે કોઈ પણ જમીનહક્ક/હિત ધરાવતા હોય તેઓને આ નોટિસના પ્રકાશનની તારીખથી 30 દિવસના સમયગાળાની અંદર નિયમ 7ના પેટા નિયમ(2) હેઠળ નિર્ધારિત નમૂના નંબર 6માં જમીન અને તેના અધિકારોની વિગતો રજૂ કરવા જણાવ્યું છે.
નિયત સત્તાધિકારી અને મામલતદાર દમણ શ્રી પ્રેમજીભાઈ મકવાણા દ્વારા જારી કરાયેલ જાહેર સૂચનાની નોંધમાં જણાવાયું છે કે, 1 અને 14ની નકલમાં દર્શાવ્યા મુજબ તમામ ભોગવટા ધારકોનો અર્થ ઉપરોક્ત સૂચનાના અર્થઘટન માટે અન્ય રસ ધરાવતી વ્યક્તિઓ પણ હશે. તમામ ખેતીની જમીન જેનો ઉપયોગ 19-10-2019 પછી એન.એ.માં બદલવામાં આવી છે તે બધી જમીનોને દાદરા નગર હવેલી જમીન સુધારણા નિયમન 1971(જે દમણ અને દીવ સુધી વિસ્તરેલ છે)ની કલમ 7ની પેટા કલમ (અ) અંતર્ગત ખેતીની જમીન માનવામાં આવશે.
દાદરા નગર હવેલીની જમીન સુધારણા નિયમ 1971(જે દમણ અને દીવ સુધી વિસ્તરેલ છે) શરૂ થયા પછી એટલે કે, 30મી માર્ચ, 2022 પછી તબદીલ થયેલી અને પેટા વિભાજિત/વિભાજન કરાયેલ તમામ ખેતીની જમીનોની કલમ નિયમોની કલમ 10 મુજબ બિન કાર્યક્ષમ બની જશે તેમજ ટોચમર્યાદાની ગણતરી કરવાના હેતુથી આ નિયમની શરૂઆત પછી તબદીલ અને પેટા વિભાજિત/વિભાજન કરાયેલી તમામ જમીનો શરૂઆતની તારીખે માલિકના નામે પુનઃ સ્થાપિત કરવામાં આવશે તેમ માનવામાંઆવશે.
દાદરા નગર હવેલીની તર્જ ઉપર હવે દમણ અને દીવમાં પણ જમીનો માટે ટોચમર્યાદા નિયત કરવામાં આવી છે જેના કારણે આવતા દિવસોમાં દમણ-દીવના કેટલાક મોટા જમીનદારોની જમીન સરકાર પોતાના કબ્જામાં લેવાની કાર્યવાહી શરૂ કરશે એવું દેખાય રહ્યું છે.