-
ડાબેરી ઉગ્રવાદ મરણતોલ ફટકાના પરિણામે આજે અંતિમ શ્વાસ લઈ રહ્યો છેઃ અમિત શાહ
-
મોદી સરકારે પર્યાપ્ત હેલ્થકેર અને એજ્યુકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવીને નક્સલવાદ પ્રભાવિત વિસ્તારોમાં રહેતા ગરીબોના જીતી લીધેલા દિલ
-
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશી નીતિઓના કારણે ડાબેરી ઉગ્રવાદે પોતાનો ગુમાવેલો ફેલાવો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવી દિલ્હી, તા.23 : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ડાબેરી ઉગ્રવાદ અને નક્સલવાદના થયેલા ખાત્મા બાબતે માહિતી આપતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકારે આતંકવાદને ડામવા આક્રમક વ્યૂહરચના અપનાવી છે.
X પર શ્રેણીબદ્ધ પોસ્ટમાં શ્રી અમિત શાહે કહ્યું હતું કે, ડાબેરી ઉગ્રવાદ મરણતોલ ફટકાના કારણે આજે તે અંતિમ શ્વાસ લઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, મોદી સરકારે પર્યાપ્ત હેલ્થકેર અને એજ્યુકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવીને નક્સલવાદ પ્રભાવિત વિસ્તારોમાં રહેતા ગરીબોના દિલ જીતી લીધા છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્ટાનીતિઓને કારણે ડાબેરી ઉગ્રવાદે પોતાનાં સંવર્ધનનું કારણ ગુમાવ્યું છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારે નક્સલવાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં વિકાસ અને સુરક્ષા માટે સંપૂર્ણ અભિગમ સાથે નક્સલવાદને મોટો ફટકો માર્યો છે. તેમણે કહ્યું કે, મોદી સરકારે રાજ્ય સરકારોને સર્વાંગી વિકાસ માટે સાથે લઈને લોકોનો વિશ્વાસ જીત્યો છે.
ગૃહ મંત્રાલયના આંકડા અનુસાર 2004-’14ની સરખામણીમાં 2014-’23ના દાયકામાં લેફટ વિંગ એક્સ્ટ્રીમિઝમ (એલડબલ્યુઇ) સંબંધિત હિંસામાં 52 ટકા અને મૃત્યુની સંખ્યામાં 69 ટકાનો ઘટાડો થયો છે, જે 6035થી ઘટીને 1868 થયો છે. એ જ રીતે ડાબેરી ઉગ્રવાદની ઘટનાઓ 14,862થી ઘટીને 7,128 થઈ ગઈ છે. ડાબેરી ઉગ્રવાદને કારણે સુરક્ષા દળોના મૃત્યુની સંખ્યા 2004-’14ના 1750થી 72 ટકા ઘટીને 2014-’23 દરમિયાન 485 થઈ ગઈ છે અને નાગરિકોના મૃત્યુની સંખ્યા 4285થી ઘટીને 1383 થઈ છે. એ જ રીતે, હિંસાવાળા જિલ્લાઓની સંખ્યા 2010માં 96 હતી, જે 2022માં 53 ટકા ઘટીને 45 થઈ ગઈ છે. આ સાથે, હિંસાના અહેવાલ આપતા પોલીસ સ્ટેશનોની સંખ્યા 2010માં 465થી ઘટીને 2022માં 176 થઈ ગઈ છે.