(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01 : દાદરા નગર હવેલી સેલવાસના પ્રોગ્રામ અધિકારી, વિકાસ અને આયોજન અધિકારી શ્રી પંકજ પરમારની અધ્યક્ષતામાં અને સરપંચ શ્રી મહેશભાઈ ખુલાત તથા જિ.પં. સભ્ય શ્રીમતી મમતાબેન વિજયભાઈ સાવરની ઉપસ્થિતિમાં આજે દૂધની પંચાયતમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે ગુજરાત ગાંધીનગરના યુનિયન ટેરીટરીના ઓડિટર શ્રી દીવ્યેશ પટેલ દ્વારા સોશિય ઓડિટ કરવામાં આવ્યું હતું. જેમાં ‘મનરેગા’ યોજના હેઠળ ચાલતા વિકાસના કામોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તે હેઠળ લાભાર્થીઓને મળેલા લાભની ચકાસણી કરવામાં આવી હતી.
આ ગ્રામસભાનો મુખ્ય હેતુ યોજનાનો લાભ લાભાર્થી સુધી સચોટ પ્રમાણે પહોંચેછે કે નહિ તેની ખાતરી કરવાનો હતો. દૂધની પંચાયતમાં ચાલુ વર્ષમાં મનરેગા યોજના હેઠળ 39 લાભાર્થીઓને લાભ આપવામાં આવેલ જેમાં વિવિધ પ્રવૃત્તિ માટે પોલ્ટ્રી શેડ, કેટલ શેડ, વર્મી કમ્પોઝ, બાયો ગેસ, શોષ ખાડો જેવા 266 કામો મંત્રાલય દ્વારા બહાર પાડેલી યાદી મુજબ આપવામાં આવે છે જે અંગેની જાણકારી યોજના સમન્વયક શ્રીમતી શર્મિષ્ઠા દેસાઈ દ્વારા આપવામાં આવી હતી.
આ પ્રસંગે બહોળી સંખ્યામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ તથા અન્ય વિવિધ યોજનાના લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.