દમણ-દીવ કોંગ્રેસ અધ્યક્ષ કેતન પટેલે કરેલો ધડાકોઃ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની બેઠકો ઉપર કોંગ્રેસને લાભ થવાનું માંડવામાં આવેલું રાજકીય ગણિત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.03: ભાજપે 195 લોકસભા બેઠક માટે ઉમેદવારો જાહેર કરીને કરેલા મોટા ધડાકા વચ્ચે હવે કોંગ્રેસના નેતા શ્રીમતી પ્રિયંકા ગાંધી વાઢેરા દમણ-દીવ ઉપરથી ચૂંટણી લડી શકે એ પ્રકારનો ધડાકો દમણ-દીવ કોંગ્રેસ અધ્યક્ષ શ્રી કેતન પટેલે કર્યો છે. કોંગ્રેસનો આ દાવપેચ છે કે પછી વાસ્તવિકતા તે આવતા દિવસોમાં સ્પષ્ટ થઈ જશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા શ્રીમતી પ્રિયંકા ગાંધી વાઢેરા દમણ-દીવ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર બની શકે છે તેવો દાવો દમણ-દીવ કોંગ્રેસના અધ્યક્ષ શ્રી કેતન પટેલે કર્યો છે.તેમણે દમણ-દીવ બેઠક ઉપરથી શ્રીમતી પ્રિયંકા ગાંધીને ચૂંટણી લડાવવા માટે તૈયારી શરૂ કરી દેવામાં આવી હોવાનો મમરો પણ મુક્યો છે. દમણ-દીવ બેઠક ઉપરથી શ્રીમતી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડે તો ગુજરાતના સમીકરણોને પણ મોટી અસર થઈ શકે એવું માનવામાં આવે છે. દમણના કારણે દક્ષિણ ગુજરાતની બેઠકો ઉપર કોંગ્રેસને ફાયદો થવાની ગણતરી માંડવામાં આવી રહી છે. જ્યારે દીવના કારણે સૌરાષ્ટ્રની બેઠકો ઉપર પણ અસર થવાનો તાળો લગાવવામાં આવી રહ્યો છે. એવું પણ કહેવાય છે કે, એક પછી એક આદિવાસી નેતાઓ ભાજપમાં ભળી જતા કોંગ્રેસનો ગઢ ઢીલો થઈ તૂટવાના આરે પહોંચ્યો છે. દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસનો પાયો મજબૂત કરવા દમણ-દીવ બેઠક ઉપરથી શ્રીમતી પ્રિયંકા ગાંધીને ચૂંટણી મેદાનમાં ઉતારવાના સપના જોવાઈ રહ્યા છે.