-
સેલવાસના કલા કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સશક્ત મહિલા વિકસિત ભારત’ કાર્યક્રમને જીવંત નિહાળવા કરાયેલી ખાસ વ્યવસ્થા
-
પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમ બાદ સેલવાસ કલા કેન્દ્ર ખાતે 70 મહિલા મંડળોને રૂા.21 લાખનું રિવોલ્વિંગ ફંડ, 23મહિલા મંડળોને રૂા.32.50 લાખનું સામુદાયિક રોકાણ ભંડોળના ચેક અને 17 લખપતિ દીદીઓને એનાયત કરેલા પ્રમાણપત્રો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11 : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સશક્ત મહિલા વિકસિત ભારત’ કાર્યક્રમનું આજે સેલવાસના કલા કેન્દ્ર ખાતે દાદરા નગર હવેલી ‘રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન’ દ્વારા જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. જેમાં ખુબ મોટી સંખ્યામાં વિવિધ મહિલા સમૂહોની સભ્ય બહેનો ઉપસ્થિત રહી હતી. આ જીવંત પ્રસારણના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની વિવિધ મહિલા મંડળોની દીદીઓને પ્રમાણપત્રો અને ચેકનું વિતરણ કર્યું હતું. જેમાં દાદરા અને નગર હવેલી જિલ્લાની 4 લખપતિ દીદીઓને પણ પ્રધાનમંત્રી શ્રી દ્વારા આમંત્રિત કરાયા હતા.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ પ્રદેશની મહિલાઓના સશક્તિકરણ માટે થઈ રહેલા વિવિધ પ્રયાસોની કડીમાં આજે પ્રધાનમંત્રીશ્રીના જીવંત પ્રસારણ નિહાળ્યા બાદ ‘રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન’ દ્વારા 70 મહિલા મંડળોને રૂા.21 લાખનું રિવોલ્વિંગ ફંડ, 23 મહિલા મંડળોને રૂા.32.50 લાખનું સામુદાયિક રોકાણ ભંડોળ અને 17 લખપતિ દીદીઓને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં દાદરા નગર હવેલીના જિલ્લાકલેક્ટર શ્રી પ્રિયાંક કિશોર, દાનહ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી દામજીભાઈ કુરાડા, ડેપ્યુટી કલેક્ટર (ખાનવેલ) શ્રી શુભાંકર પાઠક, જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી અરૂણ ગુપ્તા, વિકાસ અને આયોજન અધિકારી શ્રી પંકજ પરમાર, જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રીમતી વંદનાબેન પટેલ, જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો તથા અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં મહિલા સમૂહોની પ્રતિનિધિ બહેનો ઉપસ્થિત રહી હતી.
‘રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન’ દ્વારા આપવામાં આવેલા જંગી ભંડોળથી મહિલા મંડળ સમાજમાં આનંદ અને ઉત્સાહનો માહોલ સર્જાયો છે.