(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.19: દાદરા નગર હવેલી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા દાનહ લોકસભા સીટ પર શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરાવવા માટે કલમ 144 મુજબ આદેશ જારી કરવામા આવ્યો છે. દાનહ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી પ્રિયાંક કિશોર દ્વારા જારી કરેલ આદેશમાં જણાવવામાં આવ્યું છે કે ભારતના ચૂંટણી આયોગ દ્વારા દાનહ સંસદીય વિસ્તાર માટે લોકસભા ચૂંટણીની ઘોષણા કરવામાં આવી છે, સાથે આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા 16 માર્ચથી શરુ થઈ 06 જૂન, 2024 સુધી પૂર્ણ થવા સુધી પ્રદેશમાં ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન શાંતિ અને ભાઈચારો જાળવી રાખવા માટે દંડ પ્રક્રિયા સંહિતા 1973ની કલમ 144 મુજબ પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરતા આ આદેશ જારી કરવામાં આવ્યો છે.
શારીરિક હિંસા ઉત્પન્ન કરવા માટે ઉપયોગ કરવામાં આવી શકનાર કોઈપણ હથિયાર, ગોળા બારૂદ અને અન્યઘાતક હથિયાર જેવા કે લાઠી, ભાલા, લાકડી, ચાકુ અથવા અન્ય તિક્ષ્ણ વસ્તુ સાર્વજનિક રીતે લઈ જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. રાત્રે 10:00 વાગ્યાથી સવારે 8:00વાગ્યા વચ્ચે ચૂંટણી પ્રચાર માટે સભા, સરઘસ કે જુલુસ કાઢવા અથવા તો સાર્વજનિક બેઠક આયોજીત કરવા અને ચૂંટણી પ્રચાર માટે સ્થિર લાઉડસ્પીકરનો ઉપયોગ કરવો પ્રતિબંધિત છે.
આ આદેશ તાત્કાલિક પ્રભાવથી લાગુ થશે અને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવા સુધી લાગુ રહેશે. ઉપરોક્ત આદેશ પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા બનાવી રાખવા માટે સંબંધિત પ્રશાસનના અધિકારી, પોલીસ કર્મી, પ્રશાસનના કોઈપણ સરકારી કર્મચારી જેઓને પોતાના કર્તવ્યના ભાગ રૂપે હથિયાર લઈ જવાની આવશ્યકતા મુજબ છૂટ રહેશે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા વિશેષ રૂપે ઉપર્યુક્ત સમય માટે લેખિત રૂપે અધિકૃત કોઈ અન્ય વ્યક્તિ પર લાગુ થશે નહિ.