ધારાસભ્ય અનંત પટેલ અને કોંગ્રેસ આગેવાનો રેલવે મેનેજરને મળ્યા : રેલવે રસ્તા ચાલુ કરવાનું આશ્વાસન આપ્યું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.21: વલસાડ રેલવે વિભાગે વિવિધ પબ્લિક અવર જવરના ત્રણ રસ્તાઓ બંધ કરી દેવામાંઆવ્યા છે. જેના પ્રત્યાઘાત સાથે લોકોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે તેથી વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલવે મેનેજરને રૂબરૂ મળી બંધ રસ્તા ખોલવાની ગંભીર રજૂઆત કરી હતી. રેલવે સત્તાવાળાએ ત્રણેય રસ્તા ખુલ્લા કરી દેવામાં આવશે તેવું આશ્વાસન કોંગ્રેસ આગેવાનોને આપવામાં આવ્યું હતું.
ધારાસભ્ય અને વર્તમાન લોકસભાની ચૂંટણી વલસાડ-ડાંગ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલ અને કોંગ્રેસ સમિતિના અગ્રણીઓ રેલવે દ્વારા બંધ કરાયેલા ત્રણ રસ્તા ચાલુ કરવા માટે રેલવે મેનેજરની મુલાકાત લઈ રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે, રેલવેએ બી.એસ.સી. સર્કલ, રેલવે કોલોની જતો યુડીપી હોટલ સામેનો અને આર.પી.એફ. રોડ આમ નાગરિકો માટે અવર જવર માટે ત્રણ રસ્તા બંધ કરી દીધા છે. તેથી સ્થાનિકો, વિદ્યાર્થીઓ, મુસાફરોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. આ સમસ્યા દૂર કરવા માટે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસ આગેવાનો રેલવે મેનેજરની ગંભીરતા અંગેની રજૂઆત કરી હતી. ત્રણેય રસ્તા ચાલુ કરવા માટે રેલવે હકારાત્મકતા દાખવી હતી. ધારાસભ્યએ ચીમકી પણ આપી હતી કે આ રસ્તા ચાલું નહી કરવામાં આવે તો આંદોલન રેલવે સામે કરીશું.