સામરવરણી નક્ષત્ર સોસાયટીમાં રહેતા યુવાનનું અજાણ્યા વ્યક્તિઓ અપહરણ કરી મુંબઈ લઈ ગયા હતા, જ્યાંથી સમયસૂચકતા વાપરી યુવાન હેમખેમ પરત ઘરે પહોંચ્યો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.31 : દાદરા નગર હવેલીના સામરવરણી ગામે નક્ષત્ર સોસાયટીમાં રહેતા યુવાનનું ઇકો કારમાં આવેલ અજાણ્યા વ્યક્તિઓ અપહરણ કરી મુંબઈ લઈ ગયા હતા. જ્યાંથી સમયસૂચકતા વાપરી અહ્યુત યુવાન ચુંગાલમાંથી છૂટી ભાગી જઈ પરત ઘરે પહોંચ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર સાગર ચૌધરી (ઉ.વ.20) હાલ રહેવાસી નક્ષત્ર સોસાયટી સામરવરણી, મૂળરહેવાસી-રાજસ્થાન. જે શનિવારના રોજ બપોરે 3:30વાગ્યાના સુમારે કોઈક કામસર સોસાયટીની બહાર નીકળ્યો હતો. તે સમયે ઇકો કારમાં બે અજાણ્યા વ્યક્તિઓ બેઠેલા હતા. જેઓએ સાગરને બોલાવી એડ્રેસ બતાવવા માટે જણાવ્યું હતું. જેવો સાગર નજીક ગયો તો એક વ્યક્તિએ એના મોઢા ઉપર રૂમાલ મુક્યો હતો અને રૂમાલ મુકતાની સાથે જ બેહોશ થઈ ગયો હતો. ત્યારબાદ અપહરણકર્તાઓ સાગરને મુંબઈમાં કોઈક અજાણી જગ્યા પર લઈ ગયા હતા.
બપોરથી સાંજ સુધીમાં સાગર ઘરે નહીં આવતાં એમના પરિવારના સભ્યોએ સોસાયટીમાં અને એના મિત્રોને ફોન કરી સાગરની તપાસ કરી હતી, પરંતુ ક્યાંય મળી આવેલ નહિ, ત્યારબાદ સોશિયલ મીડિયા પર સાગર ગુમ થયો હોવાની એમના પરિવાર દ્વારા પોસ્ટ મુકવામાં આવી હતી અને પોલીસને પણ જાણ કરી હતી. રવિવારે બપોરે સાગર ઘરે આવી પહોંચ્યો હતો અને એની સાથે બનેલ સમગ્ર ઘટના અંગે જાણકારી આપી હતી. સાગરે જણાવ્યું કે હું જ્યારે સોસાયટીની બહાર નીકળ્યો હતો તે સમયે ઇકો કારમાં બેઠેલા બે અજાણ્યા વ્યક્તિઓએ મને એડ્રેસ બાબતે પૂછ્યુ હતું. હું કારથી થોડે દૂર હતો જેથી કાર ચાલકે જણાવ્યું હતું કે, અમને સંભળાતુ નથ,ી નજીક આવ. જેવો હું કાર નજીક પહોંચ્યો તો એક વ્યક્તિએ મારા મોઢા પર રૂમાલ મુક્યો અને જેના કારણેહું એકદમ બેહોશ થઈ ગયો હતો. ત્યારબાદ તેઓ મને ઈકોમાં બેસાડી મુંબઈની કોઈક અજાણી જગ્યા પર રૂમમાં લઈ ગયા હતા, જ્યાં મારી પાસે મોબાઈલ હતો એ પણ તેઓએ છીનવી લીધો હતો. જ્યાં રાત્રે મને થોડો હોંશ આવેલો જોતાં તેઓએ ફરી મને બેહોશ કરી દીધો હતો. અંદાજીત મળસ્કે પાંચ વાગ્યાના સમયે મને ફરી હોંશ આવ્યો તો જોયું કે મારી આજુબાજુમાં કોઈ નથી દેખાયા અને દરવાજો પણ અડધો ખુલ્લો હતો જેનો હું લાભ લઈ મને જે રૂમમાં રાખવામાં આવ્યો હતો ત્યાંથી ભાગી નીકળ્યો હતો અને બોરીવલી સ્ટેશન પર પહોંચી ગયો. બોરીવલી સ્ટેશને મેં બે-ત્રણ વ્યક્તિને મારી આપવીતી જણાવતાં તેઓએ મને રૂપિયા આપ્યા તેનાથી હું વાપી સ્ટેશનની ટિકિટ લઈ ટ્રેઈનમાં બેસી વાપી સ્ટેશન પર આવ્યો, અને ત્યાંથી હું રિક્ષા દ્વારા સીધો મારા ઘરે પહોંચી ગયો.
સાગરને સહીસલામત ઘરે પરત આવેલો જોઈ એમના પરિવારના સભ્યોમાં ખુશીની લહેર છવાઈ હતી. સાગરના આવ્યા બાદ પરિવારજનોએ પોલીસને પણ જાણ કરી હતી. પોલીસે સાગરની પૂછપરછ કાર્ય બાદ એમના પરિવારને ફરિયાદ કરવા જણાવતા પરિવારના સભ્યોએ અમારો પુત્ર સહીસલામત ઘરે આવી ગયો એજ અમારા માટે ખુશીની વાત છે અને અમે રાહતનો શ્વાસ લીધો છે જેથી હવે અમારે ફરિયાદ નથી કરવી એમ જણાવ્યું હતું.