ગામલોકોમાં ફાટેલો વિરોધનો વંટોળઃ એજન્સી દ્વારા તળાવને ઊંડું કરાતું હોવાની ચર્ચા વચ્ચે તળાવની માટીનું બેધડક વેચાણ થઈ રહ્યું હોવાની પણ ગામલોકોની બૂમરાણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.05: મોટી દમણના પરિયારી ખાતે આવેલ વારલીવાડ તળાવને અવ્યવહારિક રીતે ઊંડું કરવાનીથયેલી ચેષ્ટાથી ગામલોકોમાં ભારે વિરોધનો વંટોળ ફેલાયો છે અને તળાવની પાળની બાજુમાં રહેતા વારલીવાડના રહેવાસીઓ માટે તળાવ અકસ્માતનું કેન્દ્ર બને એવી ભીતિ પણ પ્રગટ થઈ રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વારલીવાડ તળાવના કિનારે ગામલોકોના ઘર આવેલા છે. તે કિનારાથી 30 ફૂટ જેટલું ઊંડું ખોદવાથી ગામલોકોને મોતનું તળાવ બનવાનો ડર સતાવી રહ્યો છે. આ તળાવ ઊંડું કરવાની કામગીરી એજન્સી દ્વારા કરાતી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ ગામલોકોના જણાવ્યા પ્રમાણે તળાવમાંથી નિકળતી માટીનું વેચાણ પણ ખાનગી ધોરણે થઈ રહ્યું છે. તેથી આ સમગ્ર કાર્યવાહી ઉપર સંઘપ્રદેશ પ્રશાસન સ્વયં તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરે એવી માંગ પણ પ્રબળ બની છે.