દાનહની આઝાદીના 68 વર્ષના સમયગાળામાં અનેક સાંસદો આવ્યા અને ગયા, પ્રશાસન પણ બદલાતું રહ્યું છતાં પાણી જેવી મૂળભૂત સુવિધાથી આજપર્યંત વંચિત રહેતા આવ્યા છે અંતરિયાળના ગામડાઓ
સમસ્યાના ઉકેલ માટે આદિવાસી ગ્રામજનો આખરી વિશ્વાસ રાખી રહ્યા છે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ ઉપર..!
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.11 : દેશમાં આઝાદીના 75વર્ષ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવવામાં આવ્યો જેના અંતર્ગત કરોડો રૂપિયાનો ખર્ચ દેશભરમાં વિવિધ કાર્યક્રમ મનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. સરકારી તંત્ર આ અમૃત મહોત્સવ કાર્યક્રમમાં વ્યસ્ત છે તો બીજી તરફ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની ગરીબ અને આદિવાસી ભોળી જનતા આજે પણ પાણી જેવી મૂળભૂત સુવિધાથી વંચિત રહી ત્રાહિમામ છે.
દાનહને 1954માં પોર્ટુગીઝ શાસનના ચુંગાલમાંથી મુક્ત કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ 68વર્ષોના સમયગાળામાં અનેક સાંસદો આવ્યા અને ગયા, તથા પ્રશાસન પણ બદલાતું રહ્યું. પરંતુ અત્યાર સુધીમાં દાનહના ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર બોર્ડર નજીકના અંતરિયાળ ગામડાઓની જનતા આજે પણ પાણી જેવી મૂળભૂત સુવિધાથી વંચિત રહી છે. ભારત સરકાર તરફથી દાનહ માટે દર વર્ષે કરોડો રૂપિયાનું ફંડ ફાળવવામાં આવે છે. પરંતુ અહીં ગ્રામીણ વિસ્તારોમાં ખાસ કરીને ઉનાળાની સિઝનમાં હાલત ખરાબ થતી હોય છે. પાણીની સમસ્યા હોય કે પછી રસ્તાઓની આ સમસ્યાના નિરાકરણ માટે ન તો પંચાયતના સરપંચોએ કમર કસી કે કોઈ રાજનેતાઓએ કે પ્રશાસનિક અધિકારીઓએ. પરિણામે દાનહના ગ્રામીણ વિસ્તારના લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે. આ હાલત ગરમીના દિવસોમા વધુ કઠિન થઈ જાય છે. પાણી માટે બે થીત્રણ કિલોમીટર દૂર સુધી પગપાળા ચાલીને જતાં જ્યાં પાણીનો સ્ત્રોત જોવા મળે ત્યાંથી પાણી ભરી એમની જરૂરિયાત પુરી કરી રહ્યા છે.
તેથી સ્થાનિક લોકોની માંગ છે કે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ પ્રદેશના અંતરિયાળ વિસ્તારના ગામોની વર્ષો જૂની પાણી સમસ્યાનો ઉકેલ લાવે એ જરૂરી છે.
દેશની આઝાદીના 7 દાયકા વીતી ગયા છતાં પણ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં પાણી માટે પરેશાન ગામના લોકોની આ તસ્વીર એ લોકો માટે પણ ગાલ પર તમાચા સમાન છે જે ભોળીભાલી આદિવાસી જનતાના નામે રાજનીતિ કરતા આવ્યા છે. હંમેશા આદિવાસીઓના નામે રોટલા શેકનાર રાજનેતાઓએ પણ પોતાના પ્રદેશવાસીઓ માટે મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવું મુનાસીબ નથી સમજ્યું.