ડેલકર સમર્થકોના ‘દેખો દેખો કોન આયા, સેલવાસ કા શેર અભિનવ આયા’ના જયઘોષથી ભાજપના સંનિષ્ઠ કાર્યકરોને પહોંચેલી ઠેસઃ કેટલાક કાર્યકરોએ નહીં જાળવેલું ભાજપના ખેસનું ઔચિત્ય
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16 : લોકસભાની દાદરા નગર હવેલી બેઠકના ભાજપના ઉમેદવાર શ્રીમતી કલાબેન ડેલકરે આજે સ્વામી નારાયણ મંદિરમાં પરિવાર સાથે પૂજા-અર્ચના કરી ત્યાંથી પરત થઈ પોતાના કાર્યાલયમાં પૂજાવિધિ આટોપી વડિલોના આશીર્વાદ લઈ સેલવાસના ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે પહોંચ્યા હતા.
શ્રીમતી કલાબેન ડેલકરે પોતાના વિશાળ ટેકેદારો અને સમર્થકો સાથે રોડ શૉ કર્યો હતો અને ઉમેદવારી પત્રક ભરવા માટે સેલવાસ કલેક્ટરાલય ખાતે પ્રસ્થાન કર્યું હતું. પ્રદેશ ભાજપ પ્રભારી શ્રી પૂર્ણેશભાઈ મોદી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલ, પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ તથા યુવા નેતા શ્રી અભિનવ ડેલકર, ડેલકર પરિવારના વફાદાર શ્રી ઈન્દ્રજીત પરમાર વગેરેની રાહબરી હેઠળ ઉમેદવારી પત્રક ભરવા માટે કાર્યકરોની ફૌજ રેલી સ્વરૂપે આગળ વધી હતી.
ભાજપના સંનિષ્ઠ કાર્યકરોની ફૌજ અને ડેલકરપરિવારના સમર્થકોની ભીડથી સમગ્ર સેલવાસ પંથક ભાજપમય બનતું દેખાતું હતું. ‘દેખો દેખો કોન આયા, સેલવાસ કા શેર અભિનવ આયા’ના જયઘોષથી ‘અબકી બાર 400 પાર’નો નારો ગુંજતો હતો પણ ‘ફિર એક બાર મોદી સરકાર’નો નારો દબાતો હોવાની લાગણી ભાજપના વફાદાર કાર્યકરો વ્યક્ત કરી રહ્યા હતા. બીજી બાજુ ડેલકર પરિવારના કેટલાક સમર્થકોએ ભાજપના ખેસને ઉતારી સાઈડ ઉપર ફેંકી દેતા પણ જોવા મળ્યા હોવાનું અમારા સેલવાસ ખાતેના પ્રતિનિધિએ નિરીક્ષણ કર્યું હતું.
જિલ્લા કલેક્ટર સમક્ષ શ્રીમતી કલાબેન ડેલકરે પોતાનું ઉમેદવારી પત્રક જમા કરાવ્યું હતું.